ભાવનગર જિલ્લાના ખેડૂતે 1 વીઘા જમીનમાં જીવામૃતનો ઉપયોગ કરી પ્રાકૃતિક પદ્ધતિથી 1200 જેટલા આંબા વાવ્યાં છે અને સારી એવી કમાણી કરી છે.
ગુજરાતમાં પ્રકૃતિક ખેતીનો વધી રહ્યો છે વ્યાપ
ભાવનગરના ખેડૂતે રાસાયણિક ખાતરને આપી તિલાંજલિ
આંબાનું વાવેતર કરી વીઘા દીઠ એક લાખની કમાણી
આજનો ખેડૂત ખેતી ક્ષેત્રે નવાનવા અખતરા કરી સારી એવી કમાણી રોડી રહ્યો છે. જેમાંથી ભાવનગર જિલ્લો પણ બાકાત નથી. ભાવનગર જિલ્લાના ખેડૂતો હવે રાસાયણિક ખાતરોને તિલાંજલિ આપી પ્રાકૃતિક પદ્ધતિના માર્ગે વળ્યા છે. જેમાં ઘોઘા તાલુકાના તણસા ગામના ખેડૂત 1 વીઘા જમીનમાં જીવામૃતનો ઉપયોગ કરી પ્રાકૃતિક પદ્ધતિથી 1200 જેટલા આંબાનું વાવેતર કર્યું છે. અને વીઘા દીઠ એક લાખની કમાણી રોળી રહ્યા છે. ખેતીમાં રાસાયણિક ખાતર અને દવાના નામે ઝેર ભળતું હોય છે. જેથી તમામ ખડૂતોએ આ માર્ગ અપનાવી આવક વધારવાની દિશામાં આગળ વધવું જરૂરી બન્યું છે.
એક-એક આંબા પર 4 થી 5 મણ કેરીનો વર્તાઇ રહ્યો છે ઉતારો
ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના તણસા ગામે રહેતા બ્રીજરાજસિંહ ગોહિલ ખેતી તેમજ પશુપાલનના મુખ્ય વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેઓએ 2018 થી પોતાના પશુપાલનના વ્યવસાયમાં ગૌશાળા બનાવી છે, આ ગૌશાળામાં ગીર તેમજ દેશી ગાયોના સંવર્ધનનું કાર્ય કરવામાં આવી રહ્યું છે. ગૌશાળા સાથે તેઓએ ખેતીમાં પણ પવિત્રતાના પ્રાણ પૂર્યા છે. તેમણે ગૌશાળાની ગાયના ગૌમૂત્ર, ગોબર તેમજ જંગલમાં ઉગતી વનસ્પતિઓનો ઉપયોગ કરી પ્રાકૃતિક ખેતીનો અભિગમ અપનાવ્યો છે, આ ખેડૂતે પ્રાકૃતિક વિધિ અપનાવી 4 વર્ષમાં સંપૂર્ણ ખેતીને રસાયણ મુક્ત કરી છે, તેમજ ઓછા ખર્ચે વધુ અને સારું ઉત્પાદન મેળવી મૂલ્યવર્ધન કરી સારી એવી ઉપજ મેળવતા થયા છે, તેમણે પોતાની વાડીમા અલગ અલગ વિભાગો બનાવી અલગ અલગ ફેઝમાં કેસર કેરીના આંબાનું વાવેતર કર્યું છે. પ્રથમ તેઓ નર્સરીમાં પ્રાકૃતિક પદ્ધતિથી આંબાના રોપા તૈયાર કરે છે, અને તેને અલગ અલગ વર્ષે વિભાગ દીઠ વાવેતર કરે છે, જેમાં તેઓ ગાય આધારિત જીવામૃત તૈયાર કરી ડ્રિપ પદ્ધતિનો ઉપયોગ કરી જમીનમાં ઉતારે છે અને ત્યાર બાદ તબક્કાવાર છોડ અને ઝાડ ને જીવામૃત નો સ્પ્રે કરી માવજત કરે છે, તણસા ના આ ખેડૂત ની વાડીના રોગ મુક્ત આંબાઓમાં કેસર કેરીનો ભરપૂર ફાલ લહેરાઈ રહ્યો છે. એક-એક આંબા પર આશરે 4 થી 5 મણ કેરીનો ઉતારો વર્તાઇ રહ્યો છે.એટલે આશરે તેઓ એક વીઘા વાવેતર દીઠ 1 લાખ સુધીની કમાણી કરી રહ્યા છે. મહત્વનું એ છે કે પ્રાકૃતિક પદ્ધતિથી તૈયાર થયેલી કેરી વેચવા તેઓને બજાર સુધી પણ જવાનો વારો આવતો નથી.ડિજિટલ ઇન્ડિયા મૂવમેન્ટનો તેઓ ભરપૂર લાભ ઉઠાવી રહ્યા છે.
ભાવનગરમાં 2 હજારથી વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતીના માર્ગે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહિત કરી રહ્યા છે. સાથે વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતીમાં જોડાય એ માટે આહવાન પણ કરી રહ્યા છે. તેમજ પ્રાકૃતિક પદ્ધતિથી તૈયાર થતી ખેત પેદાશોને વેચવા માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉભુ થાય એ માટે ખૂબ પ્રયત્ન કરી રહ્યા છે,જેના ફળ સ્વરૂપે હાલ ભાવનગર જિલ્લામાં 2 હજાર કરતાં વધુ ખેડૂતો ગાય આધારિત પ્રાકૃતિક પદ્ધતિથી તૈયાર થતી ખેતી તરફ વળ્યા છે તેમજ રાસાયણિક ખાતરને તિલાંજલિ આપી જીવામૃત થકી ઓછા ખર્ચે વધુ આવક મેળવી સમૃદ્ધિ તરફ આગળ વધી રહ્યા છે. મહત્વકનું છે કે ગત વર્ષે આવેલા વાવાજોડાના કારણે ભાવનગર જિલ્લામાં કેરીના પાકને ભારે નુકશાન થયું હતું અને તેના કારણે ભવનગરની સ્પેશિયલ એવી સોસીયા ઈ કેસર કેરી આ વર્ષે ઓછી જોવા મળે છે તેવા સમયે તનશા ગામના ખેડૂતે પ્રાકૃતિક ખેતીના માધ્ય્મ થકી કેરીનું વાવેતર કર્યું છે જેને અન્ય ખેડૂતઓએ પણ આવકારેલ છે.