ભાવનગરની સિવિલ હોસ્પિટલમાં કર્મચારીઓની ભરતીમાં કૌભાંડ, સરકારી એમ્બ્યુલન્સના બદલે ખાનગી એમ્બ્યુલન્સના માલિકો સાથે સાંઠગાંઠ રાખી તેને કામની કરાવવા અને એકના એક કર્મચારીને 2 હોદ્દા ઉપર રાખીને બેવડો પગાર ચુકાવાયાઓ હોવાનો ઘટસ્ફોટ ભાવનગરના કોંગ્રેસના નેતા મનહર પટેલે કર્યો હતો. જોકે રોગી કલ્યાણ સમિતિના સભ્ય અને ભાવનગરના ધારાસભ્ય તેમજ શિક્ષણ મંત્રી વિભાવરી દવેએ આ આક્ષેપોને ફગાવી દીધા છે.
ભાવનગરની સિવિલ હોસ્પિટલ આમતો જે તે સમયમાં રાજાઓએ બંધાવી ત્યારે એશિયામાં સૌથી મોટી 700 બેડ ધરાવતી હોસ્પિટલ હતી. પરંતુ આ હોસ્પિટલને અત્યારે ભ્રષ્ટાચારનો એરૂ આભડી ગયો છે અને આરોગ્ય સેવા કથળી ગઈ છે. ભાવનગર શહેરમાં આમતો સત્તાધારી પક્ષના અનેક લોકો સરકારમાં પ્રતિનિધિત્વ કરે છે. પ્રદેશ પ્રમુખ, કેન્દ્રીય મંત્રી જેવા હોદ્દા પણ ભાવનગરને મળ્યા છે તેમ છતાં આ હોસ્પિટલની હાલત અત્યન્ત ખરાબ છે.
બીજી ડીગ્રી માટે ફૂલ ટાઈમ કોલેજમાં હાજર હતા તેવા પુરાવા પણ મળ્યા
તાજેતરમાં કોંગ્રેસના નેતા મનહર પટેલે આ મામલે અનેક આક્ષેપો કર્યા હતા. આ હોસ્પિટલમાં 22 એમ્બ્યુલન્સો છે તેમ છતાં ખાનગી હોસ્પિટલ અને સંસ્થાઓ સાથે સાઠગાંઠ કરી દર્દીઓને લુંટવાનો કારસો થઇ રહ્યો છે. મનહર પટેલે અહીંના કર્મચારી કે જેઓ ૨૦૧૪માં એસ.આઈની પોસ્ટ ઉપર હતા ત્યારે તેઓ અન્ય સ્થળે બીજી ડીગ્રી માટે ફૂલ ટાઈમ કોલેજમાં હાજર હતા તેવા પુરાવા પણ મળ્યા છે. આ કર્મચારીએ એસ.આઈ ઉપરાંત અન્ય સ્થળે પણ એડમિનિસ્ટ્રેશનમાં પોતાનું નામ નોંધાવી બેવડો પગાર લીધો હોવાના લેખિત પુરાવા પણ મનહર પટેલે રજુ કર્યા છે. ત્યારે સરકારી તિજોરીનાં પૈસા લઇ જઈ આ કર્મચારી સામે પગલા લેવાની માંગ કરવામાં આવી છે.
વિભાવરીબેન આક્ષેપો પાયા વિહોણા ગણાવ્યા
ભાવનગરની સિવિલ હોસ્પિટલમાં આમતો રોગી કલ્યાણ સમિતિના નામે વહીવટ થતો હોય છે. તેના ચેરમેન ભાવનગર પૂર્વ વિધાનસભાના ધારાસભ્ય વિભાવરીબેન દવે હોવાનો દાવો પણ મનહર પટેલે કર્યો છે. સિવિલ હોસ્પિટલ ત્રીજા અને ચોથા વર્ગની ભારતીઓ આઉટસોર્સ દ્વારા કરાઈ છે. પરંતુ તેના ટેન્ડર છેલા ૧૨ વર્ષથી એક જ વ્યક્તિને મળતા હોવાનો વાંધો પણ મનહર પટેલે ઉઠાવ્યો છે. આ મામલે રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી અને દર મહીને સિવિલ હોસ્પિટલમાં પ્રશ્નો સંભાળતા વિભાવરીબેન દવેએ પોતાની જવાબદારીમાંથી છટકી અધિકારી ઉપર કળશ ઢોળ્યો હતો તેમને એમ પણ કહ્યું હતું કે આ આક્ષેપો પાયા વિનાના છે.
ભાવનગરની સિવિલ હોસ્પિટલમાં રાજકીય ઓથા હેઠળ નોકરી મેળવીને ઊંચા હોદાઓ મેળવી સરકારી તિજોરીને નુકસાન કરનારા કર્મચારીઓ સામે સરકારી તંત્ર જાગશે કે કેમ તે એક સવાલ છે.