ભાવનગર: ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વરા ગુરુ સાક્ષત પર બ્રહ્મા તસ્તમય શ્રી ગુરુવે નમ : મોટા ભાગે એવા શિક્ષકોની વાતો સમાચારમાં આવતી હોય છે કે તેમને ગુરુ નામને લાંછન લગાવ્યું હોય. પરંતુ આજના કળયુગમાં એવા પણ ગુરુ છે જેમને પોતાના વિદ્યાર્થીઓ ભગવાન માને છે. એવા જ બે ગુરુની વાત કરીશું આ ખાસ અહેવાલમાં.
ઉલ્લેખનીય છે કે ગુરુનું પોતાના શિષ્યના ઘડતરમાં મોટો ફાળો હોય છે. પરંતુ કળયુગમાં અમૂક કિસ્સામાં આ કહેવત ખોટી સાબિત થતી હોય છે. પરંતુ બોટાદના રાણપુરમાં આવેલી હાઈસ્કૂલમાં ફરજ બજાવતા શિક્ષક વનરાજસિંહની બદલીના સમાચાર આવ્યા હતા. વનરાજસિંહ છેલ્લા 17 વર્ષથી અહિંયા ફરજ બજાવે છે. 17 વર્ષ એક જ જગ્યાએ કર્મ કર્યા પછી તેમની બદલીનો ઓર્ડર આવતા વિદ્યાર્થીઓ અને ગ્રામજનો ઉદાસ થયા હતા.
આ બદલીની વાત બહાર આવતા 800થી વધુ વિદ્યાર્થીઓ ભૂખ હડતાળ પર ઉતરી ગયા હતા અને પોતાના શિક્ષકની બદલી રદ થાય અને તે જ ગુરુ તેમને ભણાવીને તેમનું ઘડતર કરે તેવી આશા સેવીને બેઠા છે. બાળકો હડતાળ પર ઉતરતા સમગ્ર વાત વાયુવગે ગામમાં ફેલાઈ હતી અને શિક્ષકની બદલી ન થાય તેવું ગ્રામજનો ઈચ્છી રહ્યા છે.
થોડા દિવસ પહેલા એક આવો જ બનાવ બન્યો હતો. તામિલનાડુના અરુગુલમમાં આવેલી એક સરકારી શાળામાં ભાવનાસભર દ્રશ્યો સામે આવ્યા હતા. શાળામાં 6થી 10 ધોરણમાં અંગ્રેજી ભણાવતા ભગવાનભાઈની બદલીનો ઓર્ડર આવ્યો હતો. આ ઓર્ડર મળતા જ ગામના લોકો અને વિદ્યાર્થીઓ પોક મુકીને રડતા જોવા મળ્યા હતા.
તેમને શિક્ષકને ઘેરી લીધા હતા અને તેમને જવા દેતા ન હતા. આ દ્રશ્ય જોઈને ખરેખર ભગવાનભાઈ આ છોકરાઓ માટે ભગવાનનું રૂપ હોય તેમ લાગી રહ્યું હતું. ભગવાન ભાઈએ ગામના લોકોને સમજાવવાનો પ્રયાસ કર્યો પરંતુ તેમને જવા દેવા ન માગતા તેમના વિદ્યાર્થીઓ સમજવા તૈયાર ન હતા. છેવટે ગામના લોકોએ તંત્ર સામે આ અંગે રજૂઆત કરી હતી અને શિક્ષકની બદલી ન થાય તેવી માગ કરી છે.
ઉલ્લેખનીય છે કે આમ અલગ અલગ કિસ્સામાં બે ગુરુઓને પોતાના શિષ્યો દ્વારા રોકવામાં આવી રહ્યા છે. આ બાળકોને આ જ શિક્ષકોથી ભણતર લેવું છે અને તેમને પોતાના ગમતા શિક્ષકને સ્કૂલમાં રોકવા માટે ધરણાં કરી તંત્રને રજૂઆત કરી છે. હવે તેમની બદલી અટકે છે કે કેમ એતો સવાલ છે. પરંતુ એક વાત ચોક્કસ છે કે આવા ગુરુઓ દેશની આગામી પેઢીને સાચી રાહ બતાવી શકે છે.