ભાવનગરમાં ભાજપના કાર્યકરોનો અસંતોષ ચરમસીમાએ પહોંચ્યો છે. ભાજપના કાર્યકર નરેન્દ્ર સોલંકીએ પોતાનો વીડિયો વાયરલ કર્યો છે.
ભાવનગર ભાજપમાં કાર્યકરોનો અસંતોષ
ભાજપના કાર્યકરે વીડિયો કર્યો વાયરલ
ભાજપને શુદ્વ કરવા દરેકે આગળ આવવું પડશેઃ નરેન્દ્ર સોલંકી
ગત મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાવનગરના મેયર પદ માટે વિવાદ સર્જાયો હતો. ત્યારે હવે ભાવનગરના ભાજપ કાર્યકરનો વીડિયો સામે આવતા રાજકારણ ગરમાયું છે. ભાજપના નરેન્દ્ર સોલંકી નામના કાર્યકરે એક વીડિયો વાયરલ કર્યો છે. તેઓ 30 વર્ષથી ભાજપ સાથે સંકળાયેલા છે. તેઓ વીડિયોમાં ભાજપની હાલની કામગીરી પર સવાલો ઉઠાવી રહ્યા છે. મહત્વનું છે કે, અગાઉ મેયર પદને લઇ પણ વિવાદ થયો હતો. વર્ષાબાને મેયર ના બનાવતા અસંતોષ વ્યક્ત કર્યો હતો.
ભાજપના કાર્યકર નરેન્દ્ર સોલંકીએ શું કહ્યું?
કોંગ્રેસના પતનનું કારણ પરિવારવાદ તો ભાજપની અંદર ચામચાવાદ: કાર્યકર
નરેન્દ્ર સોલંકીએ કહ્યું કે, મહેનત કરનારા કાર્યકર્તાઓની કોઇ ગણના નથી થતી. જે ધારાસભ્યોની ચાપલૂસી કરતા હોય, ધારાસભ્યોના ચમચાઓ હોય એ લોકોને હોદ્દા, પદ, પ્રતિષ્ઠા બધું મળે છે. કોંગ્રેસનું પતન થવાનું કારણ છે પરિવારવાદ. ભાજપની અંદર ચાપલૂસીવાદ, ચમચાવાદ પ્રસરી રહ્યો છે. જો ભાજપને લાંબો સમયસુધી સત્તામાં રહેવું હોય અને ભાજપને બચાવી હોય તો ચાપલૂસી પ્રથા, ચમચાવાદની પ્રથા બંધ કરવું પડશે. લાંબા સમય સુધી ભાજપને શાસન કરવું હોય તો સારા કાર્યકર્તાઓને માન સન્માન મળવું જોઇએ.
ભાજપને શુદ્વ કરવા દરેકે આગળ આવવું પડશે: કાર્યકર
નરેન્દ્ર સોલંકીએ કહ્યું કે, ભાજપને શુદ્વ કરવા દરેકે આગળ આવવું પડશે. ભાજપમાં સાચુ બોલવાનારને સસ્પેન્ડ કરાય છે. સારા કાર્યકરોને હેરાન પરેશાન કરાય છે. ધારાસભ્યની ચાપલૂસી કરનારને જ હોદ્દો મળે છે.
સાચુ બોલવાની સજા સસ્પેન્ડ હોય તો સારા કાર્યકર્તાનો તો મરોઃ કાર્યકર
નરેન્દ્ર સોલંકીએ કહ્યું કે, ભાવનગરમાં જે પ્રશ્ન બન્યો વર્ષાબાનો તેમની જે વેદના હતી તેમને મીડિયા સામે ઠાલવી. ખરેખર ન ઠાલવવી જોઇએ. પણ ભાજપના પદાધિકારીઓ કોઇ સાંભળતું નથી. સાંભળે તો કોઇ પરિણામ આવતું નથી. અત્યારે એવું વાતાવરણ છે કે વર્ષાબાને સસ્પેન્ડ કરવા. તો જો ભાજપમાં સાચુ બોલવાની સજા સસ્પેન્ડ હોય તો સારા કાર્યકર્તાનો તો મરો છે આની અંદર.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં છ મહાનગર પાલિકાની ચુંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો હતો. ત્યારબાદ ભાવનગર મહાનગર પાલિકામાં નવા મેયર તરીકે કિર્તીબેન દાણીધારિયાની નિમણૂક કરાઈ હતી. આ નિમણૂંક થતા વર્ષાબા પરમાર રડી પડ્યા હતા. વર્ષાબા પરમારે જીતુ વાઘાણી અને ભાજપે તેની સાથે અન્યાય કર્યો હોવાનું જણાવ્યું હતું.