ભાવનગરની પ્રજ્ઞાચક્ષુ બહેનોની સુંદર રાખડીઓ, 5 રૂ.થી 40 રૂ. સુધીની કિંમતની કલાત્મક રાખડીઓ તજજ્ઞના માર્ગદર્શન હેઠળ તૈયાર કરવામાં આવી
ભાવનગરની પ્રજ્ઞાચક્ષુ બાળકીઓ બનાવે છે રાખડી
દ્રષ્ટિથી નહીં દિલથી બનાવાય છે અહીં રાખડીઓ
કૃષ્ણકુમારસિંહજી અંધ ઉધોગ શાળાની બાળકીઓ
ભાઈ બહેનના પ્રેમનું પ્રતીક એટલે રક્ષાબંધનનો પર્વ. આ ઉજવણી સૌ કોઈ રંગેચંગે ઉજવાતા હોય છે જેમાં પ્રજ્ઞાચક્ષુઓ પણ સહભાગી થતા હોય છે. પ્રજ્ઞાચક્ષુ બાળકો કે જેમની પાસે દ્રષ્ટિ ન હોવા છતાં રાખડી બનાવવાનું કામ કરી રહ્યાં છે. ખરા અર્થમાં આત્મનિર્ભર બની સમાજને પણ એક નવી રાહ ચીંધી રહ્યાં છે. ભાવનગરની શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધ ઉધોગ શાળાની પ્રજ્ઞાચક્ષુ બાળકીઓએ ગણપતિ, મોર, ઓમ જેવા જુદા જુદા આકારની અવનવી પેટર્નની રાખડીઓ બનાવી છે જે ખરીદવા મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે.
આવો કઈંક અલગ કરીએ..
ભાવનગર શહેરના વિદ્યાનગર ખાતે આવેલી શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધ ઉધોગ શાળા ખાતે પ્રજ્ઞાચક્ષુ બાળકો દ્વારા રક્ષાબંધનના તહેવારને લઈને અવનવી અને કલાત્મક રાખડીઓ તૈયાર કરવામાં આવી રહી છે. ભારતીય સંસ્કૃતિમાં રક્ષાબંધનના પવિત્ર પર્વનું વિશિષ્ટ મહત્વ છે. રક્ષાબંધનનો તહેવાર ભાઈ-બહેનના પ્રેમનું પ્રતિક છે. આ દિવસે ભાઈ પોતાની બહેન પાસે રાખડી બંધાવે છે અને ભાઈ પોતાની બહેનની રક્ષા માટે પ્રણ લે છે અને બહેન ભાઈના લાંબા આયુષ્યની કામના કરે છે. રક્ષાબંધનનો તહેવાર ભારતમાં ખૂબ ધૂમધામથી ઊજવવામાં આવે છે. તહેવાર તો સૌ કોઈ માટે હોય છે, જેથી જ આ ઉત્સવમાં વધારે ઉત્સાહ વધારવા માટે ભાવનગર શહેરના વિદ્યાનગર ખાતે આવેલી અંધ ઉધોગ શાળા ખાતે પ્રજ્ઞાચક્ષુ બાળકો દ્વારા અવનવી અને કલાત્મક રાખડીઓ તૈયાર કરવામાં આવી રહી છે, જેમાં ગણપતિ, મોર, ઓમ આકાર, ચેક્સ તથા ચોરસ સહિતની અવનવી પેટર્નવાળી રાખડીઓ વિદ્યાર્થીનીઓ બનાવી રહ્યા છે, આપને જણાવી દઈએ કે અંધ ઉધોગ શાળા ખાતે એવા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે કે જે સામાન્ય નથી હોતા અને આ વિદ્યાર્થીઓને એક વર્ષથી 18 વર્ષ સુધી શાળા ખાતે વિનામૂલ્યે અભ્યાસ અને તેની સાથે વિવિધ પ્રવૃત્તિઓ પણ શીખવાડવામાં આવે છે.
અંધ ઉદ્યોગ શાળા દ્વારા બહારથી ઓર્ડર પણ લેવામાં આવે છે
ભાવનગરની શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળામાં પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ દ્વારા અનેક હેન્ડીક્રાફટની ચીજવસ્તુઓ તૈયાર કરવામાં આવે છે. જેમાં માટીનાં ગરબા, કોડિયા, તોરણ, મીણબત્તી, અગરબત્તી ઉપરાંત ચાલુ વર્ષે પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ દ્વારા 5 રૂ.થી 40 રૂ. સુધીની કિંમતની કલાત્મક રાખડીઓ તજજ્ઞના માર્ગદર્શન હેઠળ તૈયાર કરવામાં આવી છે. રાખડી બનાવવા માટે અલગ અલગ મટીરીયલ જેમાં પેન્ડલ, દોરી, મોતી વગેરે જુદા જુદા સ્થળેથી એકત્ર કરી પ્રજ્ઞાચક્ષુ દીકરીઓ રાખડી બનાવે છે. રાખડી બનાવવાનો હેતુ ભવિષ્યમાં પોતે પગભર થઇ સમાજમાં પ્રસ્થાપિત થઇ શકે તે છે. રાખડીઓ ખરીદવા માટે વિદ્યાનગર ખાતે આવેલી કૃષણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળા તેમજ બહારગામ માટે ઓર્ડર પણ લેવામાં આવે છે.
દિવ્યાંગ બાળકોને ટ્રેનિંગ આપી તૈયાર કરે છે
આ એવા બાળકો હોય છે કે જે પોતાની જાતે પોતાના શારીરિક કામ પણ કરી શકતા નથી. આવા બાળકોના માતા-પિતાને એક ચિંતા પણ સતત સતાવતી હોય છે કે તેમનું બાળક સામાન્ય નથી ત્યારે આ માતા-પિતા જ્યારે નહીં હોય ત્યારે તેમના બાળકોને કોણ સાચવશે અને તેમનુ બાળક કેવી રીતે આ દુનિયાની વચ્ચે રહી શકશે. ત્યારે આ બાળકોને સંપૂર્ણપણે ટ્રેનિંગ આપી અને સમાજને ઉપયોગી થઇ શકે તેવી ચીજવસ્તુઓ બનાવવા માટે અંધ ઉધોગ શાળાના ટ્રસ્ટીઓ જહેમત ઉઠાવી રહ્યા છે.