રાજ્ય (Gujarat)માં એકવાર ફરી મેઘરાજાનું જોર વધ્યું છે. ત્યારે ભરૂચમાં નર્મદા નદીની સપાટી ભયજનક સ્તરે પહોંચતા તંત્ર દ્વારા લોકોનું સ્થળાંતર કરવાની ફરજ પડી.
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 241 તાલુકાઓમાં વરસાદ
ભરૂચમાં નર્મદા નદીનું જળસ્તર ભયજનક સપાટીએ
નગરપાલિકાએ 187 લોકોને સલામત સ્થળે ખસેડ્યા
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં રાજ્યના 241 જેટલા તાલુકાઓમાં વરસાદે ધડબડાટી બોલાવી છે. ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારો જળબંબાકાર થઇ ગયા છે. એવામાં રાજ્યના 4 જિલ્લામાં વરસાદને લઇને રેડ એલર્ટ જાહેર કરાયું છે તો 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને 8 જિલ્લામાં યલો એલર્ટ અપાયું છે.
ગોલ્ડનબ્રિજ નજીક નદીની સપાટી 25 ફૂટે પહોંચી
ગુજરાતમાં છેલ્લા બે દિવસથી સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. ત્યારે દક્ષિણ ગુજરાતના ભરૂચમાં નર્મદા નદીનું જળ ભયજનક સપાટી વટાવી ગયું છે. ગોલ્ડનબ્રિજ નજીક નદીની સપાટી 25 ફૂટે પહોંચી ગઇ છે. એટલે કે ભયજનક સપાટીથી માત્ર 1 ફૂટ જ ઉપર નર્મદા નદી વહી રહી છે.
નગરપાલિકા દ્વારા 187 લોકોને સલામત સ્થળે ખસેડી દેવાયા
ઉપરવાસમાં ભારે વરસાદના કારણે નદીના જળસ્તરમાં એકાએક વધારો થતાં સ્થળાંતરની પ્રક્રિયા હાથ ધરાઇ છે. ભરૂચ નગરપાલિકાએ 187 લોકોને સલામત સ્થળે ખસેડી દીધા છે. હાલમાં ગોલ્ડન બ્રિજ નજીક નદીનું પાણી ભયજનક સપાટીએ પહોંચતા ઝુંપડપટ્ટી વિસ્તાર તેમજ દાંડિયા બજારમાંથી લોકોનું સ્થળાંતર કરવાની ફરજ પડી છે. મહત્વનું છે કે, હાલમાં નર્મદા ડેમમાંથી 5 લાખ ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. ત્યારે આ રીતે એકાએક ડેમમાંથી પાણી છોડાતા નદીનું જળસ્તર ભયજનક સપાટીએ પહોંચ્યું છે. જેના લીધે નદી કિનારે રહેતા ઝુંપડપટ્ટી વિસ્તારના સ્થાનિક લોકોને એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતરિત કરવામાં આવ્યા છે.
નીચાણવાળા વિસ્તારમાં શાળાઓમાં રજા જાહેર કરી દેવાઇ
બીજી બાજુ ભરૂચમાં સંભવિત પૂરની પરિસ્થિતિના પગલે વહીવટી તંત્ર દ્વારા બાળકોના હિતમાં મહત્વનો નિર્ણય લેવાયો છે. તંત્ર દ્વારા વર્તમાન પરિસ્થિતિને જોતા નીચાણવાળા વિસ્તારમાં આવેલી શાળાઓમાં રજા જાહેર કરી દેવાઇ છે. નર્મદા નદીના જળસ્તરમાં સતત વધારો થતા વહીવટી તંત્ર દ્વારા આ નિર્ણય લેવાયો છે.