ભરૂચમાં અશાંતધારો લાગુ પણ અમલ નહીં થતાં લોકોએ મંદિર-ઘર વેચવા બેનર લગાવી તંત્ર સામે અનોખો વિરોધ કરવામાં આવ્યો છે. હિન્દુઓએ મકાનો અને મંદિરો વેચવાના છે તેવા બેનરો લગાવ્યા છે.
ભરૂચમાં અશાંતધારો લાગુ છતાં અમલ નહીં
2019માં શહેરના 40 વિસ્તારમાં અશાંતધારો લાગુ કર્યો હતો
અશાંતધારો લાગુ છતાં તેનું પાલન ન થતું હોવાનો આક્ષેપ
હિન્દુ પરિવારો પોતાનું મકાન વેચવા માટે મજબૂર
ચંદ કદમો પર મસ્જીદ હૈ, ચંદ કદમો પર મંદિર, એક જ ગલીમાં આવેલા આ વિસ્તારમાં અશાંતધારાનો મુદ્દો આજે ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. જ્યાં મકાનોથી લઇ ધાર્મિક સ્થાનો પણ હવે વેચાણ અર્થે મુક્યા હોવાના બેનર લાગ્યા છે. રાજ્ય સરકારે સંવેદનશીલ વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે હેતુથી રાજ્યના વિવિધ જિલ્લાઓના અમુક વિસ્તારોમાં અશાંતધારો લાગુ કર્યો છે. જે વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરવામાં આવે ત્યાંની મિલકત વેચાણ પર નિયંત્રણ આવી જાય છે. ભરૂચના 40થી વધુ વિસ્તારોમાં તંત્ર દ્વારા વર્ષ 2019માં અશાંતધારો લાગુ કરવામાં આવ્યો હતો. પરંતુ તેનું અમલ ન થતું હોવાના આક્ષેપો હવે વિસ્તારના લોકો કરી રહ્યા છે. હાજીખાના વિસ્તારમાં વિધર્મીઓને મકાન વેચાતા હોવાથી લોકો હવે વિરોધનો માર્ગ અપનાવી રહ્યા છે.
'આ મકાન હિન્દુનું છે, વેચવાનું છે, જલારામ બાપાનું મંદિર પણ વેચવાનું છે' - આ પ્રકારના લાગ્યા બેનર
ભરૂચના હાજીખાના વિસ્તારમાં ભગવાનનું ઘર પણ વેચવાનું હોવાના બેનરો લાગતા ઉહાપોહ મચી ગયો છે. સંવેદનશીલ ગણાતા ભરૂચ શહેરમાં કેટલાય વિસ્તારોમાં વર્ષ 2019થી અશાંતધારો લાગુ હોવા છતાં તેનો અમલ થઈ રહ્યો નથી તેવા આક્ષેપ સાથે રવિવારે હાજીખાનામાં હિંદુ પરિવારોએ મંદિરો અને પોતાના ઘર ઉપર તેને વેચવાના બેનરો લગાવતા તંત્ર પણ દોડતું થયું છે. જુના ભરૂચના હાજીખાના વિસ્તારમાં આ જલારામ બાપાનું મંદિર પણ વેચવાનું છે, આ હિન્દુઓની ચાલી પણ વેચવાની છે, આ મકાન હિન્દુનું છે તે વેચવાનું છે, તેવા બેનર લાગ્યા છે. આ વિસ્તારમાં અશાંતધારો લાગુ હોવા છતા તેનો અમલ ન થતા સ્થાનિકોએ બેનરો લગાવી વિરોધ નોંધાવ્યો છે.
અશાંતધારો લાગુ થયા બાદ પણ વિધર્મી કોમના લોકોએ મિલ્કત ખરીદી
આમતો હાજીખાના બજાર વિસ્તારમાં હિન્દૂ અને મુસ્લિમ કોમના મળી 1 હજારથી વધુ મકાન આવેલા છે. જેમાં હિન્દૂ વિસ્તારોના અંદાજીત 700 મકાનો છે, અશાંતધારો લાગુ થયા બાદ પણ 2થી 3 મિલ્કતો વિધર્મી કોમના લોકોએ ખરીદી કરતા આ સમગ્ર વિવાદ ઉભો થયો છે, જે બાદથી લોકો હવે અશાંતધારાનો ચુસ્ત અમલ કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે.
શુ છે અશાંતધારો?
જિલ્લા કલેક્ટરની જાણ બહાર મિલ્કત ટ્રાન્સફર થઈ હોય તો તેમાં કલેક્ટર પોતાની રીતે તપાસ કરી મિલકત ટ્રાન્સફર પર રોક મુકી તેના અસલ માલિકને સત્તા અપાવી શકે છે. આ કાયદો જ્યાં બે કોમો વચ્ચે તણાવ સર્જાતા હોઈ અને મિલકત ખરીદ-વેચાણને લઈને કોઈ કોમનું વર્ચસ્વ વધવા લાગે ત્યારે આ ધારો લાગુ કરવામાં આવતો હોઈ છે. ભરૂચના જે વિસ્તારમાં અશાંતધારો લાગુ કરાયો છે તેમાં પણ ઘરો વેચાતા સ્થાનિકો આક્રમક મૂડમાં આવી ગયા હતા.