ભરૂચઃ શહેરનાં વાલીયાની સુગર ફેક્ટરીમાં ખેડૂતોને પોષણક્ષમ ભાવો ન મળતાં ખેડૂતોએ ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે. થોડાં સમય પહેલાં જ ફેક્ટરીએ શેરડીનાં ટન દીઠ 2303 રૂપિયા ભાવ જાહેર કર્યાં હતાં. પરંતુ ખેડૂતોનાં જણાવ્યાં પ્રમાણે આ ભાવ પોષણક્ષમ નથી.
ખેડૂતોનું એવું કહેવું છે કે પંડવાઇ સુગર ફેક્ટરી અને ધારીખેડા ફેક્ટરીમાં ટન દીઠ 2500 રૂપિયા આપવામાં આવે છે. ખેડૂતોનાં આ ઉપવાસ આંદોલનમાં તેમની સાથે ફેક્ટરીનાં 3 ડીરેક્ટરો પણ જોડાયાં હતાં.
તાજેતરમાં જ સુગર ફેક્ટરીઓ દ્વારા શેરડીનાં ટન દીઠ ભાવ જાહેર કર્યાં હતાં. જેમાં વાલિયાનાં વટારીયા ગામ ખાતે આવેલ ગણેશ સુગર ફેક્ટરી દ્વારા ૨૩૦૩ રૂપિયા ભાવ જાહેર કરાયો હતો.
આ ભાવ પોષણક્ષમ ન હોવાનાં આક્ષેપ સાથે ખેડૂતોએ વિરોધ નોંધાવીને શેરડીનાં ભાવ અંગે ફેર વિચારણા કરવા સુગર ફેકટરીનાં સંચાલકો પાસે માંગ કરી હતી પરંતુ તેઓની માંગ ન સંતોષાતાં આજ રોજ ખેડૂતો સુગર ફેક્ટરી પર ઉપવાસ આંદોલન પર બેસી ગયાં હતાં.
તેઓ સાથે સુગર ફેકટરીનાં ૩ ડીરેકટરો પણ જોડાતાં રાજકારણ ભારે ગરમાયું છે. ખેડૂતોનું કહેવું છે કે પંડવાઈ સુગર ફેકટરી અને ધારીખેડા સુગર દ્વારા શેરડીનો ભાવ રૂપિયા ૨૫૦૦ આપવામાં આવ્યો છે ત્યારે તેઓને પણ આ પ્રમાણેનો જ ભાવ મળવો જોઈએ.
તો આ તરફ ગણેશ સુગર ફેકટરીનાં ચેરમેન સંદીપ માંગરોલાએ જણાવ્યું હતું કે વેશ્વિક બજારમાં ખાંડનું બજાર નરમ થતાં આ આ પરિસ્થિતિનું જીર્માન થયું છે. જો કે સુગર ફેક્ટરી દ્વારા ખેડૂતોને પોષણક્ષમ ભાવ આપવાનો પ્રયાસ કરાયો છે.