ખેડૂતોને જમીનનું વળતર નહીં મળે તો આંદોલનની ચીમકી ઉચ્ચારી
ભરૂચના સાંસદ મનસુખ વસાવા વધુ એક વખત ચર્ચામાં આવ્યા છે. તેમણે કેન્દ્રીય રોડ અને ટ્રાન્સપોર્ટ મંત્રી નીતિન ગડકરીને પત્ર લખી રજૂઆત કરી છે. જેમાં રેલવે, નેશનલ હાઈવેમાં ખેડૂતોની જમીનના બદલામાં વળતર વધારવા સહિતની માંગ કરવામાં આવી છે. આથી આ સમગ્ર મામલે તાત્કાલિક યોગ્ય નિર્ણય કરવામાં આવે તેવી લેખિત રાજુઆત કરાઇ છે. જો આગામી દિવસોમાં આ દિશામાં કાર્યવાહી કરવામાં નહી આવે તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. જેને પગલે સ્થાનિક તંત્ર દોડતું થયું છે.
ભરૂચના ખેડૂતો સાથે સરકારે અન્યાય કર્યો હોવાનો કર્યો દાવો
ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ નીતિન ગડકરીને કરેલી લેખિત રજૂઆતમાં જણાવ્યુ કે, સુરત અને વલસાડ જિલ્લાના ખેડૂતોને જમીનનું પૂરતું વળતર આપવામાં આવ્યું છે. જેની તુલનામાં ભરૂચ જિલ્લાના ખેડૂતોને જમીનોનું ઓછું વળતર મળતું હોવાના આરોપો પણ લગાવ્યા છે. વળતરમાં ભિન્નતા રાખી સરકારે ભરૂચ પંથકના ખેડૂતો સાથે અન્યાય કર્યો હોવાનો પણ રજૂઆતમાં દાવો કરવામાં આવ્યો છે. જેને લઇને સાંસદ મનસુખ વસાવાએ પત્ર લખીને તાકીદે મુદ્દાનું નિરાકરણ લાવવા આપીલ કરી છે.
અગાઉ પીએમ મોદીને લખ્યો હતો પત્ર
આ અગાઉ પણ રેલ્વે સેવાની માંગને લઈને ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો હતો.સાંસદ મનસુખ વાસાવાએ વડાપ્રધાનને પત્ર લખીને રાજપીપળાથી અંકલેશ્વર રેલ્વે લાઈનને ફરીથી શરૂ કરવા માગ કરી હતી. જેથી ત્યાથી આવતા જતા મુસાફરોને રાહત મળી રહે. આ સીવાય તેમણે અંકલેશ્વર-રાજપીપળા રેલ્વે લાઈનેન SOU સુધી જોડવામાં આવે તેવી માંગ ઉઠાવી હતી. અને અંકલેશ્વરથી-રાજપીપળા રેલ્વે લાઈનને SOU સુધી જોડવા માટે 15 કિમી નવી બ્રોડગેજ લાઈન નાખવા માટે રજૂઆત કરી હતી.