ભરૂચ નજીક નિર્માણાધીન બ્રિજનો એક ભાગ અચાનક નીચે પડતાં ભાગદોડ મચી ગઈ હતી જોકે આ દુર્ઘટનામાં કોઇ જાનહાની થવા પામી ન હતી.
ભરૂચ શહેરને જોડતો નંદેલાવના બ્રિજનો ભાગ ધરાશાયી
ક્રોકીટનો મોટો હીસ્સો ધસી પડતા અફરાતફરી
એક તરફનો વાહન વ્યવહાર બંધ કરાયો
ભરૂચ નજીક મોટી દુર્ઘટના સામે આવી છે. ભરૂચ શહેરને જોડતો નિર્માણાધીન નંદેલાવ બ્રિજનો એક ભાગ એકા-એક જમીનદોસ્ત થતાં અફરાતફરી મચી જવા પામી હતી. કોંક્રીટનો મોટો હીસ્સો ધડકાભેર ધરાશાયી થયો હતો. સદનશીબે આ ઘટનામાં નીચે બેસેલા લોકોનો બચાવ થયો હતો. બીજી તરફ આ દુર્ઘટનાને લઈને તંત્ર દોડતું થયું છે અને સબંધિત વિભાગને તપાસના આદેશ જારી કર્યા હતા.
કાટમાળ નીચે અનેક વાહનો અને કેબિનો દબાઈ
રાજ્યમાં ભ્રષ્ટાચાર અને નબળી ગુણવત્તાના પાપે ભૂતકાળમાં અનેક બ્રિજ તૂટી પડ્યાના હજરાહજૂર પૂરાવાઓ સામે છે તેવામાં ભરૂચ નજીક આવી જ એક દુર્ઘના ઘટી હતી. ભરૂચ શહેરને જોડતા નંદેલાવ બ્રિજનું નિર્માણ કાર્ય પ્રગતિમાં હતું આ દરમિયાન આજે બપોરના સમયગાળામાં બ્રિજના કોંક્રીટનો મોટો હીસ્સો નીચે ખાબક્યો હતો. બ્રિજનો ભાગ નિચે ત્રાટકવાની સાથે જ તેના કાટમાળ નીચે અનેક વાહનો અને કેબિનો દબાઈ ગયા હતા. જેને પગલે હાજર લોકોમાં દેકારો બોલી ગયો હતો. જોત-જોતાંમાં લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા. આ ઘટનામાં વાહન અને કેબિન દબાયા હતા પરંતુ બ્રિજ નીચે બેસી રહેલા લારી ચાલકોનો બચાવ થતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.આ ઘટનાને લઈને રોડ પરનો એક તરફનો વાહન વ્યવહાર ડાયવર્ડ કરવામાં આવ્યો હતો. જેથી વાહનચાલકો ટ્રાફીકમાં અટવાયા હતા.
6 માસ અગાઉ અમદાવદમાં આવી દુર્ઘટના ઘટી હતી
આશરે 6 માસ અગાઉ અમદાવદ શહેરના સરદાર પટેલ રિંગ રોડ પર નિર્માણાધિન ઓવર બ્રિજનો એક હિસ્સો તૂટી પડયો હતો. અમદાવાદના બોપલથી શાંતિપુરા વચ્ચે બની રહેલો આ બ્રિજનો વચ્ચેનો ભાગ એકાએક તૂટી પડ્યો હતો. નોંધનીય છે કે, આ ઘટના જ્યારે બની ત્યારે કેટલા શ્રમિકો ત્યાં કામ કરી રહ્યા હતા અને ટ્રાફિક પણ ભારે હતો. સદનસીબે આ દૂર્ઘટનામાં કોઇ જાનહાની થવા પામી ન હતી. સાથે જ અમદાવાદ માથેથી મોટી ઘાત ટળી હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગના ઉચ્ચ અધિકારીઓ તથા પોલીસનો કાફલો તાત્કાલિક અસરથી ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો. સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી.