સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ભાજપના સાંસદ અને દિગ્ગજ નેતા મનસુખ વસાવાએ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલને લેખિતમાં રાજીનામું આપ્યું છે. ત્યારે હવે આ રાજીનામા બાદ VTV News સાથે સાંસદ મનસુખ વસાવાએ ખાસ વાતચીત કરી હતી. રાજીનામું ધરી દેવાનું આપ્યું આ કારણ...
ભાજપના દિગ્ગજ નેતા અને સાંસદ મનસુખ વસાના રાજીનામાંથી ખળભળાટ
તંદુરસ્તી સારી નથી રહેતી. એટલે જ રાજીનામું આપ્યુંઃ વસાવા
સાંસદ ભલે નારાજગી ન હોવાનું કહે પણ પ્રદેશ પ્રમુખે સ્વીકાર્યું!
ભરુચના ભાજપના સાંસદ મનસુખ વસાવાએ પક્ષમાંથી અચાનક રાજીનામા ધરી દેતા ભાજપમાં ભૂકંપ સર્જાયો છે. રાજકીય વર્તુળોમાં આ મામલે ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે અને તર્કવિતર્ક કરવામાં આવી રહ્યા છે. તેમના રાજીનામાંનો લેખિત પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ પણ થયો છે. પોતાના પત્રમાં મનસુખ વસાવાએ પાર્ટી પર કોઈ પણ આરોપ પ્રતિઆરોપ કર્યા વિના એક મુખ્ય કારણ આપ્યું છે. જેમાં તેમણે કહ્યું છે કે 'મારી ભૂલથી પાર્ટીને કોઈ નુકસાન ન પહોંચે તેની માટે હું રાજીનામું આપું છું.'
1. શું તમારી માંગને લઇને રાજીનામું આપ્યું?
ત્યારે સાંસદ મનસુખ વસાવાએ રાજીનામા બાદ VTV News સાથે ખાસ વાતચીત કરી હતી. જેમાં તેમણે જણાવ્યું કે, મારી કોઇ માંગને લઇને રાજીનામું આપ્યું નથી. મારી તંદુરસ્તી સારી નથી રહેતી, કમર અને ગરદનની ઘણા સમયથી તકલીફ છે. જેથી પ્રવાસમાં તકલીફ પડે છે. આખા લોકસભા વિસ્તારમાં પ્રવાસ કરવો ખુબ મુશ્કલે છે. તેથી મેં સમજી વિચારીને આ રાજીનામું આપ્યું છે. મારા રાજીનામાં પર અડગ છું. હું હવે નિવૃત થવા ઇચ્છું છું.
2. શું પાર્ટીથી કોઇ નારાજગી છે?
વસાવા પોતાના મતક્ષેત્રની અનેક સમસ્યાઓને લઇને સરકારમાં રજૂઆત કરી ચૂક્યા છે. વસાવા ઈકો સેન્સેટીવ ઝોન સહિત વિવિધ માગણીઓને લઇ નારાજગી વ્યક્ત કરી રહ્યા હતા. ત્યારે આ અંગે વસાવાએ કહ્યું કે, મને પાર્ટી સાથે કોઇ નારાજગી નથી. ભાજપે મને મારી ક્ષમતા કરતા પણ ઘણુ બધુ આપ્યું છે. મારા વિસ્તારના પ્રશ્નો જ્યારે જ્યારે રજૂ કર્યા છે ત્યારે તેનો ઉકેલ પણ આવ્યો છે. થોડા દિવસ અગાઉ જ ઇકો સેન્સેટીવ ઝોનનો મુદ્દો હતો. તેમાં પ્રજાને મુશ્કેલી ન પડે તે માટે પોઝિટિવ રીતે સરકાર આગળ વધી રહી છે.
3. શું તમે પાર્ટી પર કોઇ દબાણ ઉભું કરવા માગો છો?
આ અંગે તેમણે કહ્યું કે, પાર્ટી પર કોઇ દબાણ ઉભું કરવા માટે રાજીનામું નથી આપ્યું. દબાણ લાવવાનો કોઇ પ્રશ્ન જ રહેતો નથી. સરકાર પોઝિટિવ રીતે અમારા પ્રશ્નોનો ઉકેલ લાવી રહી છે. માત્રને માત્ર મારા પત્રમાં સ્પષ્ટરીતે લખ્યું છે કે, તંદુરસ્તી સારી નથી રહેતી. એટલે જ રાજીનામું આપ્યું છે.
4. ભાજપમાંથી રાજીનામું આપ્યું કે સાંસદ પદેથી?
વસાવાએ રાજીનામાં અંગે કહ્યું કે, મે હાલ ભાજપમાંથી રાજીનામું આપ્યું છે સત્રની શરૂઆત થશે ત્યારે સાંસદ પદેથી રાજીનામું આપીશ. વધુમાં તેમણે કહ્યું કે, રાજકીય સંગઠનની કામગીરીઓ કરીશ. આગામી સમયમાં સાંસદ તરીકે પણ રાજીનામુ આપીશ.
સાંસદ ભલે નારાજગી ન હોવાનું કહે પણ પ્રદેશ પ્રમુખે સ્વીકાર્યું!
સાંસદ મનસુખ વસાવાના રાજીનામું આપવા પાછળ નાદુરસ્ત તબિયતનું કારણ જણાવ્યું. પરંતુ આ મામલે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલે કહ્યું હતું, કેન્દ્ર સરકારની 121 ગામોને ઈકો સેન્સેટિવ ઝોનમાં સમાવેશ પર નારાજગી હતી, જેથી તેમણે રાજીનામું આપ્યું છે. તેમની નારાજગી દૂર કરી દઈશું. અમને ગર્વ છે કે આવા નેતા પક્ષમાં છે.
VTVના કાર્યક્રમ 'મહામંથન'માં વસાવાના રાજીનામા પર ચર્ચા કરવામાં આવી
ભાજપના સાંસદ એવા મનસુખ વસાવાએ કેટલાક કારણોસર પોતાનું રાજીનામું પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલને મોકલી દીધુ છે. મનસુખ વસાવાએ કેટલાક કારણો અને પોતાના અંગત તારણો રાજીનામાના પત્રમાં લખ્યા છે. વસાવાને કઈ વાતનો વસવસો છે? કઈ વ્યથા છે અને કઈ વાતને લઈને તે નારાજ છે? તે પત્રમાં ઉલ્લેખ નથી. પરંતુ અધિકારી રાજ અને એકહથ્થા નિર્ણય સામે વસાવાએ આડકતરી રીતે તો ઉલ્લેખ કરી જ દીધો છે. વસાવા ઈકો સેન્સેટીવ ઝોન સહિત વિવિધ માગણીઓ અને વિકાસના કામોને લઈને કેટલાક સમયથી નારાજગી વ્યક્ત કરી રહ્યા હતા. આખરે વસાવાને ક્યા અધિકારીઓથી પરેશાની છે. કેમ મનસુખ વસાવા નારાજ છે? શું ગુજરાતમાં જંગલની સુરક્ષા કાયદાઓથી ના થઈ શકે? ગુજરાતમાં કેટલા ઈકો સેન્સેટીવ ઝોન છે? શું વન્ય અભ્યારણ્યો અસુરક્ષિત છે? રાજકીય નેતાઓ કેમ કરે છે સુરક્ષાની માગ? આ સહિતના સવાલો પર છે 'મહામંથન'માં ચર્ચા કરવામાં આવી હતી.