ભરૂચમાં AAP નેતા અને પૂર્વ નગરસેવક મનહર પરમારની પત્નીને કોર્ટે 15 વર્ષ જૂના સસ્તા અનાજના કૌભાંડમાં 5 વર્ષની સજા અને રૂ. 29 હજારનો દંડ ફટકાર્યો.
AAP નેતાની પત્નીને કોર્ટે ફટકારી 5 વર્ષની સજા
દુકાનની સંચાલિકાએ અનાજનો જથ્થો કર્યો હતો સગેવગે
15 વર્ષ જૂના કેસમાં કોર્ટે દંડ અને સજાનું કર્યું એલાન
સસ્તા અનાજની દુકાનમાં ઉચાપતના ગંભીર કેસમાં ભરૂચના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે આમ આદમી પાર્ટીના નેતાની પત્નીને 5 વર્ષની સજા તેમજ દંડનો હુકમ કર્યો છે. AAP નેતા મનહર પરમારની પત્ની ઇન્દુમતીબેન પરમાર કે જેઓ સસ્તા અનાજની દુકાનની સંચાલિકા છે. તેઓએ અનાજનો જથ્થો સગેવગે કરી દીધો હતો.
અનાજનો જથ્થો કાર્ડ ધારકોને નહીં મળતા ફરિયાદ દાખલ કરાઈ
શહેરના વસંત મિલની ચાલમાં ઇન્દુમતીબેનની સસ્તા અનાજની દુકાન આવેલી છે. વ્યાજબી ભાવની દુકાન ચલાવતા મહિલા સંચાલિકા સરકારી ઘઉં, ખાંડ, કેરોસીન કે તેલનો જથ્થો ગરીબ રેશનકાર્ડ ધારકોને આપવાને બદલે અન્યને આપી દેતા. વર્ષ 2008માં સરકારી અનાજનો જથ્થો કાર્ડ ધારકોને નહીં આપીને બિન અધિકૃત વ્યક્તિઓને આપવા બદલ B ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ દાખલ કરાઈ હતી. જેમાં ખૂબ મોટી રકમની ઉચાપતનો મામલો સામે આવ્યો હતો.
સંચાલિકા ખોટા દસ્તાવેજો અને ખોટા બિલો બનાવતી
AAP નેતાની પત્ની સંચાલિકા વ્યાજબી ભાવની દુકાનના સ્ટોકના ખોટા દસ્તાવેજો અને ખોટા બિલો બનાવીને તેનો ખોટી રીતે ઉપયોગ કર્યો હતો. B ડિવિઝનમાં ગુનો નોંધાતા જે-તે સમયે તપાસ અધિકારીએ આ સંચાલિકા સામે પૂરતા પુરાવા મેળવી કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી. આથી, ભરૂચ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં ફોજદારી કેસ નંબર 8103/2008 નોંધાયો હતો. જે કેસ ચાલતા પુરાવાના આધારે તેમજ ગંભીર પ્રકારના ગુનામાં સરકારી વકીલે દલીલો કરી હતી. જે મામલે ભરૂચ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ પી.ડી. જેઠવાએ સમાજમાં દાખલો બેસાડવા તેમજ આ પ્રકારના અન્ય ગંભીર ગુના ન બને તે માટે સસ્તા અનાજની મહિલા સંચાલિકાને 5 વર્ષની સજા અને રૂ. 29 હજારના દંડનો હુકમ કર્યો હતો.