ખેડૂત નેતા રાકેશ ટિકૈતે કહ્યું છે કે જો સરકાર ખેડૂત નેતાઓ સાથે વાતચીત કરવા ઈચ્છે છે તો પહેલાંની જેમ સત્તાવાર આમંત્રણ મોકલે, જ્યાં સુધી કાયદો રદ નહીં થાય ત્યાં સુધી ઘરે નહીં જઈએ. આજે આંદોલનનો 17મો દિવસ છે અને સાથે આંદોલન ઉગ્ર બનતાં જ દિલ્હીની ટીકરી બોર્ડર પર સુરક્ષા વધારવામાં આવી છે.
રાકેશ ટિકૈતનું મોટું નિવેદન
સરકાર સત્તાવાર આમંત્રણ મોકલે
કાયદો રદ નહીં થાય ત્યાં સુધી ઘરે નહીં જઈએ
ખેડૂતોના આંદોલનનો આજે 17મો દિવસ છે ત્યારે ખેડૂતો કૃષિ કાયદો રદ કરવાની માગ પર અડગ જોવા મળી રહ્યા છે. આજે દિલ્હી - જયપુર અને પછી આગ્રામાં ચક્કાજામ કરાશે. આ કારણે દિલ્લીની ટીકરી બોર્ડર પર સુરક્ષા વધારી દેવાની સાથે પોલીસ કાફલો મોટી માત્રામાં ખડકી દેવાયો છે. કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતો અને સરકાર વચ્ચે હજી સુધી કોઇ સમાધાન નહીં થયું હોવાના કારણે આંદોલન ઉગ્ર બની રહ્યું છે. 3 નવા કાયદા રદ કરવા, MSP ગેરંટીની માંગ સાથે ખેડૂતો મક્કમ જોવા મળી રહ્યા છે. આજે દિલ્લી-જયપુર અને દિલ્લી-આગ્રા હાઈવે પર ચક્કાજામ કરાશે અને સાથે જ દેશભરના તમામ ટોલપ્લાઝા ફ્રી કરવાનું પણ એલાન કરાયું છે. સરકાર પર દબાવ બનાવવા ટોલ પ્લાઝા ફ્રી કરાવશે. આ સિવાય 14 ડિસેમ્બરે જિલ્લા મુખ્યકાર્યાલયો અને કલેક્ટર કચેરી ઘેરશે. ભાજપના નેતાઓના ઘરની બહાર પણ પ્રદર્શન કરવાનો ખેડૂતોનો પ્લાન છે.
રાકેશ ટિકૈતે કહી આ વાત
રાકેશ ટિકૈતે કહ્યું કે જ્યાં સુધી સરકાર ત્રણેય નવા કાયદાને રદ્દ નહીં કરે ત્યાં સુધી ખેડૂતો પરત ફરશે નહીં. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે સરકારે ચર્ચા માટે આમંત્રણ મોકલ્યું કે નહીં તો તેઓએ કહ્યું કે આવું કંઈ મળ્યું નથી. એક વાત સ્પષ્ટ છે કે ખેડૂતો નવા કાયદાને સરકાર પાસે રદ્દ નહીં કરાવે ત્યાં સુધી અમે કંઈ પણ સ્વીકારીશું નહીં, સરકાર વાતચીત કરવા ઈચ્છે છે તો અમને આમંત્રણ મોકલે.
શનિવારની સવારથી વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે. રાજમાર્ગોને ટોલ ફ્રી કરી દેવામાં આવ્યા છે. ખેડૂતોએ કહ્યું છે કે સરકાર અમારી માંગ નહીં સ્વીકારે તો અમે રેલમાર્ગ જામ કરીશું. રાષ્ટ્રીય રાજધાની પર છેલ્લા 2 અઠવાડિયાથી ખેડૂતો પ્રદર્શન કરી રહ્યા છે. સરકાર સાથે અગાઉ 5 વખત વાતચીત થઈ ચૂકી છે પણ સરકાર 3 નવા કૃષિ કાયદા રદ્દ કરી રહી નથી.