લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભરવાની શરૂઆત થઇ ચુકી છે. આણંદ બેઠક પર ભાજપ હજુ ઉમેદવાર નક્કી કરવાની અવઢવમાં છે ત્યારે કોંગ્રેસના ઉમેદવાર ભરતસિંહ સોલંકી આગામી 3 એપ્રિલના રોજ 12:39 કલાકે પોતાનું ફોર્મ ભરશે. આણંદના લોટેશ્વર મહાદેવ દર્શન કરી તેઓ રેલી સાથે આણંદ સ્ટેશન રોડ થઇ અમુલ ડેરી, ગણેશ ચોકડી પહોંચશે. ત્યારબાદ જિલ્લા ચૂંટણી અધિકારીને પોતાનું ફોર્મ સુપરત કરશે.
એનસીપી સાથેના ગઠબંધનને લઇ ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે મહારાષ્ટ્રમાં અમારું એનસીપી સાથે ગઠબંધન છે જ અને કોઈપક્ષની બે બે પોલિસી ન હોય એનસીપી ચૂંટણીમાં અમને જ મદદ કરશે.
મહત્વનું છે કે, લોકસભા ચૂંટણીને લઇને રાજકીય પાર્ટીઓ ચૂંટણી જીતવાની આશા અને ટેકો મળે તે માટે પ્રયાસો કરી રહ્યા છે. ત્યારે કોંગ્રેસ અને એનસીપીનું મહારાષ્ટ્રમાં ગઠબંધન થયું છે. જોકે બન્નેનું ગઠબંધન ગુજરાતમાં થયું નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રની કુલ 48 લોકસભા બેઠકો માટે કોંગ્રેસ, એનસીપી, બહુજન વિકાસ અગાડી, સ્વાભિમાની શેતકારી સંગઠન, યુવા સ્વાભિમાની પક્ષ વચ્ચે ગઠબંધન થયું છે. જેમાં કોંગ્રેસ 24 જ્યારે એનસીપી 20 બેઠકો પરથી ચૂંટણી લડશે. ત્યારે જોવાનું રહ્યું ગુજરાતમાં એનસીપી કોને સમર્થન કરશે.