પિતાની રાહે પુત્ર?, વર્ષ 1985માં માધવસિંહ સોલંકીએ ખામ થિયરી અપાનાવી સત્તા આંચકી હતી
ગુજરાતમાં ફરી ખામ થિયરી?
ભરતસિંહના નિવેદન પર રાજકીય ગરમાવો
"હવે અમારે સાશન કરવું છે, અમને સત્તા આપો"
2022માં કોંગ્રેસ કરશે ખામ થિયરીનો પ્રયોગ?
ગુજરાતના રાજકારણમાં અત્યારથી જ 2022ના સપના જોવાઈ રહ્યા છે... ભાજપ ફરી સત્તા અમારી આવશે તેવી વાત કરે છે.. આમ આદમી પાર્ટી મેદાનમાં ઉતરતા જ 120 સીટો લાવશે તેવી વાતો કરે છે.. તેવામાં હવે કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકી પિતાના રસ્તે ખામ થિયરીથી કોંગ્રેસને સત્તા અપાવવા માગે છે.. ભરતસિંહ સોલંકીના એક જ નિવેદનથી હાલ ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે..
અમારે સાશન કરવું છે, અમને સત્તા આપો: ભરતસિંહ સોલંકી
હાલમાં ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીનું જાણે ટ્રેલર સામે આવ્યું હોય તેમ લાગે છે. એક બાદ એક અનેક નેતાઓ સક્રિય થઈ રહ્યા છે. આવનારા સમયમાં આ નેતાઓ કોઈ રાજકીય ભૂકંપ ન સર્જે તો જ નવાઈ. કારણ કે, 2017ની ચૂંટણી ગજવાનાર ત્રણ નેતા હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને જીગ્નેશ મેવાણીની ત્રિપુટી હવે અલગ અલગ પાર્ટીમાં વહેંચાઈ ગઈ છે. અને આવા સમયમાં હવે કોંગ્રેસ દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકીએ OBC કાર્ડ રમવાની શરૂઆત કરી છે. તેમાં પણ પાટણમાં આપેલા અમારે સાશન કરવું છે, અમને સત્તા આપો વાળા નિવેદનને રાજકીય ગરમાવો લાવી દીધો છે.. અને આ ગરમાવો રાજકીય નિષ્ણાતો માટે પણ એક ચર્ચાનો વિષય બન્યો છે..
એક બાદ એક નેતાઓ અને રાજકીય આગેવાનો પોતાના નિવેદનથી જ્ઞાતિવાદના મધપુડાને છંછેડી રહ્યા છે. થોડા સમય અગાઉ પાટીદાર સુપ્રીમો નરેશ પટેલે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી તો પાટીદારના જ હોવા જોઈએ.. ત્યારબાદ રાજકારણમાં ગરમાવો આવી ગયો હતો. ત્યારે હવે પાટણમાં કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીએ મોટું નિવેદન આપ્યું છે. ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, છેલ્લા 25 વર્ષથી થતું શોષણ હવે બહું થયું હવે સમયનું પરિવર્તન કરવું છે.. સૌથી મોટી વોટ બેન્ક પછાત વર્ગોની છે.. તો હવે મુખ્યમંત્રી પણ અમારો જ હોવા જોઈએ.
પ્રદેશનું નેતૃત્વ જ્ઞાતિવાદના આધારે બંધ કરો: હાર્દિક પટેલ
જોકે ભરતસિંહ આ પ્રકારનું નિવેદન આપે ત્યારે સ્વાભાવિક છે કે, કોંગ્રેસમાં રહેલા અન્ય જ્ઞાતિના નેતાઓને પણ તેની અસર થવાની..ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ સોશિયલ મીડિયમાં પોસ્ટ કરતા લખ્યું કે, પ્રદેશનું નેતૃત્વ જ્ઞાતિવાદના આધારે બંધ કરો, મારી જાતિના મુખ્યમંત્રી, તારી જાતિના મુખ્યમંત્રીની વાત કર્મભૂમિનું અપમાન છે. સર્વપક્ષના નેતાઓએ જાતિ ધર્મની વાત બંધ કરી ખેડૂત, યુવાનો અને મહાન ગુજરાતના લોકોની વાત કરવી જોઈએ.. હાર્દિકના આ નિવેદન પરથી એક વાત સ્પષ્ટ છે કે, તે ખામ થિયરીનો વિરોધી છે. કારણ કે, કર્યો આ થિયરીની સામે જે તે સમયે પાટીદાર સમાજે જ વિરોધ કર્યો હતો.
ખામ થિયરી શું છે?
વાત ખામ થિયરીની છે.. ત્યારે આ ખામ થિયરી શું છે તે અંગે વાત કરવામાં આવે તો.. ખામ થિયરીનો સીધો મતબલ છે.. એટલે કે ક્ષત્રિય, હરિજન, આદિવાસી અને મુસ્લિમ સમીકરણ... વર્ષ 1985માં માધવસિંહ સોલંકીએ આ થિયરી અપનાવી ગુજરાતમાં 149 બેઠકો કબજે કરી હતી. જે આજ સુધીની સૌથી હાઈએસ્ટ બેઠકો છે. માધવસિંહે રાજ્યમાં મહત્વની ગણાતી 4 જાતિઓ ક્ષત્રિય, આદિવાસી, હરિજન અને મુસ્લિમને સાંકળીને ચૂંટણી જીતવાનો પ્રયોગ કર્યો હતો. જે ખુબજ સફળ રહ્યો હતો. હાલના સમયે કોંગ્રેસને આ ચાર જ્ઞાતિઓ સાથે પાટીદાર મતો પણ મળી શકે છે. તેથી વિધાનસભા જીતવા માટે કોંગ્રેસ ઉત્સાહમાં છે. પરંતુ આ તો રાજકારણ છે.. અને જો ખામ થિયરી પર કોંગ્રેસ ચાલે તો ફરી પાટીદારો ફટકો આપી શકે છે..