સમગ્ર દેશ અને દુનિયામાં વધતા કોરોના વાયરસના કેસ વચ્ચે હવે કોરોનાની વેક્સીન બનાવવા માટે તનતોડ મહેનત કરવામાં આવી રહી છે. જ્યારે અમેરિકન કંપની મૉડર્ના, Pfizer અને બ્રિટનની ઑક્સફૉર્ડ યુનિવર્સિટી અને એસ્ટ્રા જેનેકાની સંભવિત વેક્સીન આ રેસમાં સૌથી આગળ માનવામાં આવી રહી છે, ત્યારે ભારતની બે કંપનીઓ પણ વેક્સીનના બીજા ફેઝનું ટ્રાયલ ઝડપથી પૂર્ણ કરવામાં લાગી છે. જેમાં એક નામ ભારત બાયોટેકનું છે, જેણે ફેઝ-2ના ટ્રાયલ માટે તૈયારી કરી નાખી છે. સાથે જ ફેઝ-3ના ટ્રાયલ માટે સરકાર પાસે મંજૂરી પણ માંગી છે. ત્યારે ભારત બાયોટેકની કોવેક્સીન રસીના ટ્રાયલ માટે ગુજરાતની 5 મેડિકલ કોલેજોને મંજૂરી આપવામાં આવી છે.
ભારત બાયોટેકના રસીના ટ્રાયલ માટે મંજૂરૂ
કોરોનાના કેમિકલ રિસર્ચ માટે ગુજરાતમાં તૈયારી
5 મેડિકલ કોલેજને ક્લિનિકલ ટ્રાયલ માટે મંજૂરી
કોરોનાના કેમિકલ રિસર્ચ માટે ગુજરાતમાં તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. ભારત બાયોટેકના રસીના ક્લિનિકલ ટ્રાયલ માટે ગુજરાતની 5 મેડિકલ કોલેજને મંજૂરી મળી છે. જેમાં એમ.કે શાહ મેડિકલ કોલેજ-ચાંદખેડા, SGVP મેડિકલ કોલેજ, GMERS-ગાંધીનગર, બી.જે મેડિકલ કોલેજ અને એમ.કે શાહ મેડિકલ કોલેજને રિસર્ચ માટે મંજૂરી અપાઇ છે.
19 જગ્યાઓ પર થશે ટ્રાયલ
DCGIના અધિકારીઓએ કહ્યું કે, ભારતના બાયોટેકએ 2 ઓક્ટોબરે કોવેક્સીન રસીના ત્રીજા તબક્કાના પરીક્ષણની મંજૂરી માંગી હતી. કંપનીએ પોતાના આવેદનમાં કહ્યું છે કે, આ પરિક્ષણમાં 18 વર્ષ અથવા તેનાથી વધુ ઉંમરના 28,500 લોકોને સામેલ કરવામાં આવશે. ફેઝ-3નું ક્લિનિકલ ટ્રાયલ 10 રાજ્યોના 19 શહેરોમાં કરાવનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં અમદાવાદ, દિલ્હી, મુંબઈ, પટના અને લખનૌ પણ સામેલ છે. જોકે હાલ ફેઝ-2નું પરિક્ષણ ચાલી રહ્યું છે.
ફેઝ-2 ક્લિનિકલ ટ્રાયલ્સમાં લોકોની સંખ્યા ઘટાડવામાં આવી
જણાવવામાં આવ્યું છે કે, ભારત બાયોટેકે પોતાની કોરોના વેક્સીન-કોવેક્સીન માટે ફેઝ-2 ક્લિનિકલ ટ્રાયલ્સના આકારને નાનો કર્યો છે. એટલે કે આમાં ટેસ્ટ કરવાના લોકોની સંખ્યા ઓછી થઇ છે. હવે કંપની માત્ર 380 લોકો પર ફેઝ-2નું ક્લિનિકલ ટ્રાયલ કરશે. પહેલા કંપનીની યોજના 750 લોકો પર આ ટ્રાયલ કરવાની હતી. કંપનીનું કહેવું છે કે, આનાથી તે ફાઇનલ સ્ટેજ એટલે કે થર્ડ ફેઝનું ક્લિનિકલ ટ્રાયલ જલ્દીથી શરૂ કરી શકીશું અને કોરોના વાયરસની વેક્સીન જલ્દી લોન્ચ થઇ શકશે.
દેશમાં છેલ્લા 3 અઠવાડિયાથી કેસમાં ઘટાડો નોંધાયો
મહત્વનું છે કે, ભારતમાં કોરોના વાયરસના કેસોની સંખ્યામાં છેલ્લા 3 અઠવાડિયાથી ઘટાડો નોંધાયો છે. કેન્દ્ર સરકારે પહેલા જ આની સંભાવના દર્શાવતા ગાઇડલાઇન્સમાં છૂટ આપી દીધી હતી. આજે(15 ઓક્ટોબર)થી દેશભરમાં કેટલાક પ્રતિબંધો સાથે સિનેમા હોલ અને શાળાઓને ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. સાથે જ ધાર્મિક મેળાવડા અને પરિવહન સેવાઓમાં પણ છૂટછાટનું એલાન કરવામાં આવ્યું છે. જોકે, આનો અંતિમ નિર્ણય લેવાનો અધિકાર રાજ્ય સરકારોને આપવામાં આવ્યો છે.