આઠ તારીખે 10 ટ્રેડ યુનિયન દ્વારા ભારત બંધનું એલાન કરવામાં આવ્યું છે. છ બેંક યુનિયને પણ હડતાલનું સમર્થન કર્યું છે જેના લીધે બેકિંગ કામકાજ પર પણ ખુબ અસર પડશે. 8 અને 9 જાન્યુઆરીનાં રોજ એટીએમમાં પણ કેશની અછત નોંધાઈ શકે છે. ટ્રેડ યુનિયન તરફથી સંયુક્ત નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ હડતાલમાં ઓછામાં ઓછા 25 કરોડ લોકો સામેલ થશે.
60 જેટલા વિદ્યાર્થી સંગઠનો પણ થશે સામેલ
ટ્રેડ યુનિયન સમર્થિત બેંકો રહેશે બંધ
પ્રાઈવેટ બેંકો પર નહિ પડે અસર
આ દસ સંગઠનોમાં INTUC, AITUC, HMS, CITU, AIUTUC, TUCC, SEWA, AICCTU, LPF, UTUC અને બીજા ઘણા એસોસિએશન પણ સામેલ છે. આ સિવાય 60 વિદ્યાર્થી યુનિયનોએ આ હડતાલનો હિસ્સો બનવાનું એલાન કર્યું છે. આ સંગઠન શિક્ષણ સંસ્થાઓમાં ફીમાં વધારા મુદ્દે વિરોધ નોંધાવશે.
છ બેંક યુનિયને પણ હડતાલનું એલાન કર્યું
છ બેંક યુનિયને પણ હડતાલનું એલાન કર્યું છે જેમાં AIBEA- ઓલ ઈન્ડિયા બેંક એમ્પ્લોઇ એસોસિએશન, AIBOA- ઓલ ઈન્ડિયા બેંક ઓફિસર્સ એસોસિએશન, BEFI, INBEF, INBOC અને BKSMનો સમાવેશ થાય છે. જે બેંક યુનિયન આ હડતાલનું સમર્થન કરી રહ્યા છે તે યુનિયન સમર્થિત બેંક પણ આવતી કાલે બંધ રહેશે.
નાણા જમા કરવા અને ચેક ક્લીયરીંગ જેવા કામ બંધ રહેશે
જો બેંકનાં કામ પણ અસર પડશે તો મોટા ભાગની બેંક બંધ રહેશે જેથી કેશની વહેંચણી થઇ શકશે નહીં. આ જ કારણ છે કે એટીએમમાં કેશની અછત થશે. આ સમસ્યા 9મી તારીખે પણ જોવા મળી શકે છે. બેંકમાં કેશ કાઢવા, નાણા જમા કરવા અને ચેક ક્લીયરીંગ જેવા કામ બંધ રહેશે. જોકે ઓનલાઈન બેન્કિંગનાં કામમાં કોઈ જ અસર જોવા મળશે નહિ. ઘણી બેંકે તો શેર બજારને પણ જાણકારી આપી દીધી છે કે આઠમીએ બેંક બંધ રહેશે.
પ્રાઈવેટ બેંક પર આ હડતાલની કોઈ જ અસર જોવા મળશે નહિ. બેંકનાં કર્મચારી બેંકનાં વિલીનીકરણનો સતત વિરોધ કરી રહ્યા છે. આ જ કારણથી તેઓ હડતાલમાં સામેલ થઇ રહ્યા છે. કેન્દ્ર સરકારની આર્થિક અને જન વિરોધી નીતિયોનાં વિરોધમાં ટ્રેડ યુનિયનો તરફથી આ હડતાલ કરવામાં આવી રહી છે. આ પ્રસ્તાવિત લેબર કાયદાનો પણ તેઓ વિરોધ કરી રહ્યા છે. અને શિક્ષણ સંસ્થાઓમાં ફી વધારાનો પણ વિરોધ કરવામાં આવશે.
ટ્રેડ યુનીયનનું માનીએ તો આ હડતાલમાં 25 કરોડ લોકો સામેલ થશે. બીજી જાન્યુઆરીએ ટ્રેડ યુનિયનનાં પ્રતિનિધિ અને લેબર મિનિસ્ટર વચ્ચે મુલાકાત થઇ હતી પરંતુ બંને વચ્ચે કોઈ વાત પર સહમતી બની નહિ જેના કારણે આઠ તારીખે હડતાલની જાહેરાત કરી દેવામાં આવી.