અમદાવાદ: રાજ્યભરમાં બંધના એલાનની ઉગ્ર અસર જોવા મળી હતી. સુરેદ્રનગરમાં વિરોધ દરમિયાન દલિતો ઉગ્ર બન્યા હતા. સુરેદ્રનગરમાં દલિતોએ રસ્તા પર ચક્કાજામ તેમજ ટ્રેન રોકીને વિરોધ દર્શાવ્યો હતો. તો રાજકોટમાં પણ દલિતોનું ઉગ્ર પ્રદર્શન જોવા મળ્યું. રાજકોટમાં દલિતોએ બસ પર પથ્થરમારો કરીને વિરોધ નોંધાવ્યો હતો.
તો બોટાદમાં પણ દલિતોએ બસ સળગાવવાનો પ્રયાસ કરતાં પોલીસે ટોળા પર કાબૂ મેળવ્યો હતો. સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં પણ ઠેર ઠેર વિરોધની અસર જોવા મળી. દ્વારકાના સૂરજકરાડી વિસ્તારમાં વિરોધ દરમિયાન દલિતો અને પોલીસ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો જોવા મળ્યા.
રસ્તા પર ચક્કાજામ કરનાર કેટલાક દલિતોની અટકાયત પણ કરવામાં આવી હતી તો આ તરફ જૂનાગઢમાં દલિત સમાજના લોકોએ દુકાનોએ જઈને બંધમાં જોડાવવાની અપીલ કરી હતી.
આ સાથે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રાના બસ સ્ટેન્ડમાં આજરોજ એક ટોળું આવી ચડેલ અને તોડફોડ કરી છે. આ સાથે જ બસ સ્ટેન્ડમાં રહેલી બસમાં તોડફોડ કરી બસમાં આગ લગાવી હતી.
જેના કારણે બસ સ્ટેન્ડમાં દોડધામ મચી ગઈ હતી. બીજી તરફ આ ઘટનાને લઈ પોલીસનો કાફલો તુરંત ઘટનાસ્થળે આવી પહોંચ્યો હતો.
ઉલ્લેખનીય છે કે આ SC-ST એક્ટ મુદ્દે દેશની વડી અદાલતે સંભળાવેલ નિર્ણય બાદ દલિત સંગઠનો દ્વારા આજરોજ ભારત બંધનું એલાન આપવામાં આવેલ. ત્યારે આજરોજ દેશભરમાં ઠેર-ઠેર ચક્કાજામ અને ટાયરો સળગાવવામાં આવ્યા હતા. તો કેટલાક સ્થળોએ રોડ પર બેસીને દલિત સમાજના લોકોએ વિરોધ નોંધ્યાવ્યો હતો.