કચ્છ: ભાજપના નેતા જયંતિ ભાનુશાળી હત્યા કેસને આજે 10 દિવસ જેટલો સમય વિતિ ચુક્યો છે. જોકે તપાસ એજન્સીઓને હાથે આજે પણ હત્યાનો કોઈ ઠોસ શુરાગ નથી લાગ્યો. તપાસ એજન્સીઓએ ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં પણ હવે તપાસ હાથ ધરી છે.
મહત્વનું છે કે અન્ય રાજ્યો સહિત ગઈકાલે ભાનુશાળીના ફાર્મ હાઉસમાં તપાસ એજન્સીઓએ તેમના બે ભાગીદાર જીગર પટેલ અને નિતેશ પટેલની પણ પૂછપરછ હાથ ધરી હતી. ત્યારે જોવું એ રહ્યુ કે પોલીસની તપાસમાં મુખ્ય હત્યારાઓ હવે ક્યારે ઝડપાય છે.
ઉલ્લેખનીય છે કે ભાજપનાં પૂર્વ ધારાસભ્ય જ્યંતિ ભાનુશાળી હત્યા કેસમાં 2 નામો બહાર આવ્યાં અગાઉ પણ વધુ એક નામ બહાર આવ્યું હતું. આ હત્યા કેસમાં વધુ એક વ્યક્તિની અટકાયત કરાઈ છે. સિકંદર નામનાં વ્યક્તિની અટકાયત કરીને પોલીસે પૂછપરછ કરી હતી. પોલીસ ખાસ કરીને અંગત અદાવત જમીન વિવાદ અને પૈસાની લેતી-દેતીનાં મુદ્દાઓને તપાસી રહી છે. પોલીસે અત્યાર સુધી ભાનુશાલી મર્ડર કેસમાં કુલ 5 લોકોની અટકાયત કરી છે.
નોંધનીય છે કે શરૂઆતમાં જ આ કેસમાં 2 વ્યક્તિઓનાં નામ પણ સામે આવ્યાં હતાં. પોલીસની તપાસમાં શેખર મોરે અને સુરજીત નામનાં વ્યક્તિનાં નામ સામે આવ્યાં હતાં. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ પોલીસે ઉત્તરપ્રદેશથી એક શખ્સની અટકાયત પણ કરી હતી.
બીજી બાજુ ભાજપનાં પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળીની હત્યામાં ઉમેશ પરમાર પર શંકા સેવાઈ હતી. એટલું જ નહીં પરંતુ ઉમેશ પરમાર સામે ભાનુશાળીનાં પરિવારજનોએ ફરિયાદ પણ નોંધાવી છે ત્યારે આ મામલે VTV સાથે વાત કરતા ઉમેશ પરમારે જણાવ્યું હતું કે મારા પર લગાવવામાં આવી રહેલાં તમામ આરોપ ખોટાં છે હું નિર્દોષ છું અને મને ખોટી રીતે ફસાવવામાં આવી રહેલ છે.