કેન્દ્ર સરકારે પંજાબની નવી આમ આદમી પાર્ટી સરકારને એક મોટો ઝટકો આપ્યો છે. કેન્દ્રએ રૂરલ ડેવલપમેંટ ફંડના 1100 કરોડ રોકી દીધા છે.
પંજાબની આપ સરકારને મોટો ફટકો
કેન્દ્રએ 1100 કરોડનું ફંડ રોકી રાખ્યું
કોંગ્રેસની ભૂલ આપને તકલીફ
કેન્દ્ર સરકારે પંજાબની નવી આમ આદમી પાર્ટી સરકારને એક મોટો ઝટકો આપ્યો છે. કેન્દ્રએ રૂરલ ડેવલપમેંટ ફંડના 1100 કરોડ રોકી દીધા છે. કેન્દ્રનું કહેવુ છે કે, પંજાબ સરકાર પહેલા પંજાબ રૂરલ ડેવલપમેન્ટ એક્ટ 1987માં સંશોધન કરે, ત્યાર બાદ ફંડ આપવામા આવશે. હકીકતમાં જોઈએ તો, ગત કોંગ્રેસ સરકારે ગ્રામિણ વિકાસ અંતર્ગત મળતા ફંડને ખેડૂતોના દેવા માફ કરવામાં ખર્ચી કાઢ્યું હતું. જે બાદ કેન્દ્રએ આ કડકાઈ અપનાવી છે.
કેન્દ્રનો તર્ક જે કામ માટે પૈસા, તેના માટે જ ખર્ચ કરો
કેન્દ્ર સરકારનું કહેવુ છે કે, રૂરલ ડેવલપમેંટ ફંડના રૂપિયા ખરીદ કેન્દ્રોના વિકાસ માટે આપવામાં આવે છે. આ પૈસા તેના પર જ ખર્ચ થવા જોઈએ. તેના માટે પંજાબ સરકારને પોતાના પંજાબ ગ્રામિણ વિકાસ અધિનિયમ 1987માં સંશોધન કરવું જોઈએ. ત્યાર બાદ જ ફંડ જાહેર કરવામાં આવશે.
ગત વર્ષે રોક્યા હતા 1200 કરોડ
કેન્દ્રએ ગત કોંગ્રેસના સમયમાં પણ 1200 કરોડ રોક્યા હતા. તે સમયે એ સામે આવ્યું હતું કે, સરકારે ગ્રામિણ વિકાસના પૈસા ખેડૂતોના દેવા માફીમાં વહેંચી નાખ્યા હતા. તે સમયે પંજાબ સરકારે વિશ્વાસ અપાવ્યો હતો કે, તે એક્ટમાં સંશોધન કરી લેશે. તેમ છતાં પણ પંજાબ સરકારે કોઈ પગલા ભર્યા નહીં.
ગત સરકારની ભૂલ અમે શું કામ ભોગવીએ- આપ
આમ આદમી પાર્ટીના પ્રવક્તા માલવિંદર કંગે કહ્યું કે, આમ આદમી પાર્ટીની સરકારે એ નક્કી કરશે કે, જે કામ માટે ફંડ આવ્યું હોય, તેના પર જ ખર્ચો થાય. કેન્દ્ર બદલાની ભાવનાથી કામ ન કરે. ગત સરકારની અણઆવડત અને ભૂલ છે, તેના પરિણામ અમે શું કામ ભોગવીએ.