ખનીજચોરીના કેસમાં ગીર સોમનાથના તાલાલાના કોંગ્રેસના ધારાસભ્ય ભગવાન બારડને 2 વર્ષ અને 9 માસની સજા ફટકારવામાં આવી છે. જેના આધારે ભગવાન બારડને વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ ધારાસભ્ય પદેથી સસ્પેન્ડ કરી દીધા હતા. આ મામલે તેમના સસ્પેન્શન પર રાજકારણ ગરમાયુ છે. ત્યારે આહીર સમાજનું શક્તિપ્રદર્શન યોજાયું હતું, જેમાં ભગવાન બારડે સંબોધન કર્યું હતું. આ શક્તિપ્રદર્શનમાં વિક્રમ માડમ, અંબરીશ ડેર સહીતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. જોકે આહીર સમાજના લોકો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
આહીર સમાજના શક્તિપ્રદર્શનમાં ભગવાન બારડનું સંબોધન
જેમાં તેમણે ભાજપ પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે, સંમેલનમાં આવવા બદલ લોકોનો આભાર... હું નહીં આહીર સમાજ નિર્ણય કરશે. સજા સામે મને કોઇ વાંધો નથી. મારો વિરોધ સરકાર સામે છે. ન્યાયતંત્રનો આદેશ શિરોમાન્ય છે. સરકારે મારી સાથે જે કર્યું તેનો વિરોધ છે. કોર્ટમાંથી મને જામીન મળી ગયા છે. કોર્ટે મને ઉપલી કોર્ટમાં અપીલ કરવા 30 દિવસનો સમય આપ્યો હતો.
તેમણે સરકાર પર પ્રહાર કરતા કહ્યું હતું કે, મને અચાનક સસ્પેન્ડ કરીને સરકાર સાબિત શું કરવા માગે છે. મેં ચૂંટણીપંચમાં પણ રજૂઆત કરી છે. ભાજપ સરકારે કિન્નાખોરી કરી છે. મને ખનન કેસમાં ખોટી રીતે ફસાવ્યો છે. હાઇકોર્ટમાં પણ મારી સામે સરકાર પડી છે. હું કોઇ આંતકવાદી નથી. મેં યદુ કુળમાં જન્મ લીધો છે, હું આહીર છું. આહીર ભાજપમાં જાય નહીં. હું સત્તાનો ભુખ્યો નથી, ભગવાન બારડ ભાજપમાં નહીં જાય.
મહત્વનું છે કે, સસ્પેન્શન મુદ્દે વેરાવળમાં આહીર સમાજનું શક્તિપ્રદર્શન યોજાયું. જેમાં અનેક મહિલાઓ સહિત મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા.
અત્રે ઉલ્લેખનીય છે કે, ભગવાન બારડની સજા પરનો સ્ટે હટાવવાના મામલે કોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી. ભગવાન બારડના વકીલ દ્વારા કોર્ટમાં રજૂઆત કરાઈ હતી. જેમાં રાજ્ય સરકારની સ્ટે હટાવવાની અરજી ફગાવવા માટે માગણી કરવામાં આવી હતી. જે મામલે હાઈકોર્ટે ચુકાદો આપ્યો હતો. જેમાં રાજ્ય સરકાર દ્વારા સજા પર સ્ટે હટાવવાની માંગ કરવામાં આવી હતી. જેને હાઇકોર્ટે ગ્રાહ્ય રાખી હતી, તેમજ હાઇકોર્ટે આ મામલે સેશન્સ કોર્ટમાં સુનાવણી કરવા આદેશ આપ્યો હતો.