અમદાવાદ: કોંગ્રેસના ધારાસભ્ય ભગવાન બારડના સસ્પેન્શન અને ત્યારબાદ તાલાળા બેઠક પર પેટા ચૂંટણી મામલે ગુજરાત હાઇકોર્ટે ચૂંટણી પંચની ઝાટકણી કાઢી છે.ગુજરાત હાઇકોર્ટે ચૂંટણી પંચને તીખા સવાલો કર્યા હતા. હાઇકોર્ટે ચૂંટણી પંચને પુછ્યુ કે, ઉતાવળમાં પેટા ચૂંટણી જાહેર કરવાની શું જરૂરીયાત હતી?
સ્ટે અંગે ખબર હોવા છતા ચૂંટણી જાહેર કેમ કરી? EC એક સ્વાયત સંસ્થા છે તો આવી રીતે નિર્ણય કેમ કર્યો ? ધારાસભ્યને પદેથી દૂર કરવાનો નિર્ણય લેવાની જવાબદારી કોની છે ? મહત્વનું છે કે, હાઇકોર્ટે ચૂંટણી પંચની જાટકણી કાઢતા ચૂંટણીપંચને કોર્ટમાં એફિડેવિટ રજૂ કરવા આદેશ કર્યો છે.
ઉલ્લેખનીય છે કે, અગાઉ વિધાનસભના સ્પીકર દ્વારા ભગવાન બારડને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને ત્યાર બાદ તેમની બેઠક તાલાળામાં પેટાચૂંટણીની તારીખો જાહેર કરી દેવામાં આવી હતી.
જાણો શું છે સમગ્ર મામલો:
ગીર સોમનાથના તાલાલાના ધારાસભ્ય ભગવાન બારડને સૂત્રાપાડા કોર્ટે 2 વર્ષ 9 મહિનાની સજા ફટકારી છે. ખનીજ ચોરીના કેસમાં સૂત્રાપાડા કોર્ટે ભગવાન બારડને સજા ફટકારી છે. ભગવાન બારડ પર આરોપ હતો કે 1995માં તેમણે ગૌચરની જમીનમાંથી ખનીજ ચોરી કરી હતી.
સમગ્ર અહેવાલ પર નજર કરીએ તો, 1995માં તેમણે ગૌચરની જમીનમાંથી ખનીજ ચોરી કરી હતી. સુત્રાપાડાની સરકારી ગોચર જમીન માંથી 2.83 કરોડની ખનીજ ચોરી કરી હતી ત્યારે આ આરોપ મામલે ધણા સમયથી સુત્રાપાડા કોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો.
આજે સુત્રાપાડા જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફાર્સ્ટ કોર્ટે ચુકાદો આપ્યો છે. જેમાં તાલાળાના કોંગ્રેસના ધારાસભ્ય ભગવાન બારડને ગૌચર જમીન માંથી ખનીજ ચોરી માટે કસુરવાર ઠેરવ્યા છે અને કોર્ટે આ ધારાસભ્યને 2 વર્ષ 9 મહિનાની સજા ફટકારી છે. આ ઉપરાંત 2500 રૂપિયાનો દંડ ફટકાર્યો છે.
તમને જણાવી દઇએ કે, વિધાનસભાની ચૂંટણી સમયે ભારતીય જનતા પાર્ટીએ પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારને મેદાનમાં ઉતાર્યા હતા. જ્યારે કોંગ્રેસ પક્ષે પોતાની બેઠક જાળવી રાખવા સ્વ.જશુભાઈ બારડના સગાભાઈ અને પૂર્વ ધારાસભ્ય ભગવાનભાઈ બારડને ટિકીટ આપી મેદાનમાં ઉતાર્યા હતા. જેમાં ભગવાન ભાઈ બારડનો વિજય થયો હતો.
કોંગ્રેસ પક્ષે પોતાની આ બેઠક જાળવી રાખવા સ્વ.જશુભાઈ બારડના ભાઈને જ ટિકીટ આપી કોંગ્રેસનો ગઢ સાચવી રાખવાના પ્રયાસ કર્યો હતો. જ્યારે બીજી તરફ ભાજપે પણ કોંગ્રેસના ગઢમાં ગાબડું પાડવા ભૂતપૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારને ટિકીટ આપી હતી.