માં અંબાના શક્તિપીઠ અંબાજીના ભાદરવી પૂનમના હર્ષ-ઉલ્લાસથી ઉજવણીની પુર્ણાહુતી આવી છે. માં અંબાની ભક્તિના મહાપર્વનો 23લાખથી વધુ ભક્તોએ લાભ લીધો અને માતાજીના દર્શન કર્યા માતાજીના દર્શન કરીને માઇભક્તો આનંદવિભોર થઇ ગયા હતા અને ધન્યતાની લાગણી અનુભવી હતી. આ દરમિયાન દર્શન કરવા આવેલા કેટલાંક ભક્તો તેમનાં આંસુ પણ રોકી શક્યા ન હોતાં.
માં અંબાજીનો ભાદરવી પૂનમનો મેળો નિર્વિઘ્ને પૂર્ણ
માઇભક્તોએ આનંદવિભોર થઇ માંના દર્શન કરી ધન્યતાની લાગણી અનુભવી
40થી વઘુ ખોવાઈ ગયેલા બાળકોને તેમના માતા પિતા સુધી પહોંચાડાયાં
માં અંબાનાં દર્શન કરવા ઉમટ્યાં 23લાખથી પણ વધુ ભક્તો
આ મેળામાં આવેલા ભક્તો દર વર્ષે માંના ચરણો લાખોનું દાન અર્પણ કરતા હોય છે. આ વખતે ભાદરવી પૂનમનાં મેળામાં ખેડાનાં ભક્તે 1 કિગ્રા સોનું દાન આપ્યું હતું અને ધાર્મિક સાહિત્ય કેન્દ્રમાંથી 1 કરોડ 92 લાખની આવક થઇ હતી. માતાજીનાં મંદિરમાં કુલ 8264 ધજારોહણ થઇ હતી.
ભાદરવી મહામેળો શરૂ થયો એ પહેલાં જ માઇ ભક્તોનું ઘોડાપુર આવી ગયું હતું. ભાદરવી મેળો શરૂ થયો તે અગાઉ 5થી 7 સપ્ટેમ્બર દરમિયાન 3 લાખથી ભક્તોએ માંના ચરણોમાં શીશ ઝુકાવ્યું હતું. ઉપરાંત મેળો શરૂ થયા બાદ શનિવારનાં બપોરનાં 4:30 સુધી 20.04 લાખ યાત્રિકોએ મા અંબેનાં દર્શન કર્યા છે. ચાંચર ચોક માઇભક્તોથી છલકાઈ ગયું હતું.
બાળકને ખોવાઈ જતા અટકાવવા અત્યંત આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરાયો
ભાદરવી મેળા દરમિયાન કોઈ બાળક ખોવાઈ ન જાય તે માટે અત્યંત આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને આરએફઆઈડીનાં બેલ્ટ બાળકોને પહેરાવી તેમને સુરક્ષા કવચ હેઠળ આવરી લેવામાં આવ્યાં હતાં. 7 હજારથી વધુ બાળકોને આ બેલ્ટ દ્વારા સુરક્ષિત કરાયા હતાં અને 40થી વધુ ખોવાઈ ગયેલ બાળકોને તેમના માતા પિતા સુધી પહોંચાડવામાં આવ્યાં છે. તે ઉપરાંત યાત્રિકો માટે આરોગ્યની સુવિધાઓ પણ ઉભી કરવામાં આવી હતી અને 3 લાખથી વધુ ભક્તોએ તેનો લાભ લીધો હતો.
ભાદરવી પૂનમનાં મેળાનાં 7 દિવસ દરમિયાન કુલ 20 લાખ 4 હજાર 891 ભક્તોએ દર્શન કર્યા હતા. અંદાજે સાડા 3લાખ ભક્તોએ મંદિર ટ્રસ્ટ દ્વારા કરાવવામાં આવતા ભોજન પ્રસાદનો લ્હાવો લોધો હતો. મંદિરને કુલ ૧૧૨૩.૪૫ ગ્રામ સોનાની આવક થઇ હતી જયારે 44 હજારથી વધુ યાત્રિકોએ રોપ-વે દ્વારા માંના દર્શન કર્યા હતાં.