રાજકોટઃ જેતપુરના સાડી ઉદ્યોગના સંચાલકો ભાદર નદીને ગટર સમજી રહ્યા છે. પરિણામે ભાદર નદીમાં વહેતું મીઠું જળ હવે ભૂતકાળ બની ગયો છે. ભાદર નદી હવે માત્ર કેમિકલ વહાવતું એક વહેણ બની રહ્યું છે. પરિણામે નદીઆના કાંઠાની ખેતીની જમીનો વાંઝણી બની રહી છે. ખેડૂતો પાયમાલ બની રહ્યા છે. મહિના પહેલા ભાદર નદીના પ્રદૂષણને જનપ્રતિનિધિઓ અને જનતાના દિમાગમાં લગાડેલી આગ આજે ઓલવાઈ ગઈ છે અને પાણીના પાપીઓને નદી મેલી કરવા મોકળુ મેદાન મળ્યુ છે.
નદી પરના ચેકડેમના આ પાણી પર જોવા મળતાં ફીણના ગોટા પાણીમાં ભળેલા ઝેરી કેમિકલની ચાડી ખાય છે. આ દ્રશ્યો સરદારપુરા ગામ પાસેથી પસાર થતી ભાદર નદી પરના ચેકડેમના પાણીના છે. જળ પ્રદૂષણની સ્થિતિ યથાવત્ છે. જેતપુરમાંથી પસાર થતી ભાદર નદીનું પાણી પ્રદૂષિત થવાનો મામલો હજુ નજીકના ભૂતકાળમાં ઊડીને આંખે વળગ્યો હતો. ધારાસભ્ય લલિત વસોયાએ ડેમમાં જળ સમાધિનો કાર્યક્રમ આપીને સરકાર અને સ્થાનિક તંત્રની આંખ ઊઘાડવા પ્રયાસ કર્યો હતો.
સરધારપુર ગામ બન્યું પ્રદૂષણનું ભોગ
જો કે તે વખતે થોડા સમય પૂરતું ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ સતર્ક થયું અને પ્રદૂષણ ફેલાવતા એકમોને નોટિસ ફટકારી છે. પરંતુ એક મહિના બાદ આ ઝૂંબેશ ઓસરી ગઈ છે. ત્યારે આજે ફરી વખત ભાદર નદી પર ઉડતા ફીણના દ્રશ્યો સામે આવ્યા છે. જેતપુરથી 20 કિમી દૂર આવેલું સરધારપુર ગામ હાલ પ્રદુષણનો ભોગ બન્યું છે ગામ પાસેથી પસાર થતી ભાદર નદી ઉપર બનાવેલ ચેક ડેમ પૂરેપૂરો પ્રદુષિત થઈ ચૂક્યો છે. ડેમને જોતા જ જાણે કે તેની ઉપર બરફની એક ચાદર પાથરી હોય તેવું જોવા મળે છે. હકીકતમાં ડેમનું પાણી પ્રદુષિત થવાને લીધે કેમિકલના ફીણ ચારે તરફ ઉડતા જોવા મળે છે.
કેમિકલયુક્ત પાણી શુદ્ધ કરીને ઠાલવવાનું હોય છે નદીમાં
આ ડેમનું પાણી પ્રદુષિત થવા પાછળ જેતપુરમાં ચાલતા પ્રોસેસ હાઉસ અને પ્રિન્ટિંગ ઉદ્યોગમાં વપરાતા ભારે કેમિકલને માનવામાં આવે છે. આ ઉદ્યોગ દ્વારા કેમિકલ યુક્ત પાણીને શુદ્ધ કરીને છોડવાનું હોય છે પરંતુ તેઓ તંત્રની રહેમનજર હેઠળ બે રોકટોક નદીમાં કેમિકલ યુક્ત પાણી છોડી રહ્યા છે. પ્રદુષિત થયેલ આ ચેકડેમના પગલે સરદારપૂર ગામના ખેડૂતોની જમીનો પણ દુષિત થયેલ છે. જેને લઈને ખેડૂતોના પાક પર અસર થવા લાગી છે. એટલું જ નહીં ખેડૂતોએ મોટો ખર્ચ કરી બનાવેલ કુવાઓમાં પણ આ કેમિકલ યુક્ત પાણી આવવા લાગ્યું છે. આ કૂવાનું પાણી પણ કેમિકલ યુક્ત થઇ જતા પિયત યોગ્ય રહેતું નથી. ખેડૂતોને છતાં પાણીએ દુષ્કાળનો અનુભવ થઈ રહ્યો છે.
જેતપુર માટે એક તરફ પ્રદુષણનો પ્રશ્ન છે જેના કારણે લાખો ખેડૂતો અને આમ પ્રજા પર તેની અસર પડી રહી છે. જ્યારે બીજી તરફ આ ઉદ્યોગ સાથે જોડાયેલા હજારો લોકોની રોજી રોટીનો પણ એક મોટો પ્રશ્ન છે. સરકાર આ સમસ્યા માટે યોગ્ય ઉકેલ શોધે તે જરૂરી છે.
જેતપુરના રહીશો પ્રદુષીત પાણીને લઈ મારે મુસીબતમાં મુકાયા છે. જેતપુરના સરદારપુર ગામ પાસે આવેલા ચેક ડેમમાં કેમિકલ યુક્ત પાણી છોડાતા આ ડેમને પ્રદૂષીત કરી નાખવામાં આવ્યો છે. જેની સીધી અસર ખેડૂતોના પાક પર થઈ રહી છે. જેતપુરમાં બનાવવામાં આવેલા પ્રોસેસીંગ હાઉસ અને પ્રિન્ટિંગ ઉધોગમાં વપરાતા કેમિકલ યુક્ત પાણીને શુદ્ધ કરીને છોડવાને બદલે બે રોક-ટોક ડેમમાં ઠાલવી દેતા સ્થાનિકોનાં પણ રોષની લાગણી સામે આવી છે.