પશ્ચિમ બંગાળની હાઈપ્રોફાઈલ સીટ ભવાનીપુરથી રાજ્યના મુખ્યમંત્રી મમતા બેનરજીએ શાનદાર વિજય મેળવ્યો છે. વિજય બાદ મમતા બેનરજીએ ભાજપ પર આકરુ નિશાન સાધીને મોટો આરોપ લગાવ્યો.
મમતાએ બેનરજીએ તેમના હરીફ ભાજપના પ્રિયંકા ટેબરેવાલને 58832 વોટથી પરાજય આપીને સીએમની ખુરશી બચાવી લીધી છે. ભાજપના ઉમેદવાર પ્રિયંકા ટિબરેવાલે તેમનો પરાજય સ્વીકારીને મમતાને વિજયના અભિનંદન પાઠવ્યાં છે.
નંદીગ્રામમાં અમારી સામે કાવતરુ કરાયું, જનતાએ બનાવ્યું નિષ્ફળ- વિજય બાદ મમતાનું નિવેદન
ભવાનીપુરમાં વિજય બાદ મમતાએ બેનરજીએ લોકોને સંબોધિત કરતા જણાવ્યું કે જનતાએ કાવતરુ નિષ્ફળ બનાવ્યું છે. મમતાએ કેન્દ્ર સરકાર પર પણ નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે અમારી સામે કાવતરુ કરવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે નંદીગ્રામમાં પણ અમારી સામે કાવતરુ કરવામાં આવ્યું હતું. આ મામલો કોર્ટમાં હોવાથી હું કંઈ ઝાઝુ કહેવા માગતી નથી પરંતુ અહીં જે કંઈ પણ થયું તેને લોકોએ જોયું છે.
58 હજારથી વધારે વોટથી જીત્યા મમતા બેનેરજી
ઉલ્લેખનીય છે કે ભવાનીપુર બેઠક પ્રતિષ્ઠાનો વિષય બની હતી. આ પેટાચૂંટણીમાં મમતા બેનરજીને કુલ 84709 વોટ મળ્યાં હતા. ભાજપના પ્રિયંકા ટિબરેવાલને ફક્ત 26320 વોટ મળ્યાં હતા જ્યારે સીપીએમ ઉમેદવાર શ્રીજીબને ફક્ત 4201 વોટ મળ્યાં હતા.
કેમ જરૂરી હતી જીત
નોંધનીય છે કે પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં મમતા બેનર્જી નંદીગ્રામ બેઠક પરથી હારી ગયા હતા. જોકે તેમની પાર્ટી જીતી ગઈ હતી અને તેઓ મુખ્યમંત્રી બન્યા. બંધારણ અનુસાર સીએમ બન્યા બાદ છ મહિનામાં ધારાસભ્ય બનવું જરૂરી છે તેથી ભવાનીપુરમાં પેટાચૂંટણી લડી ધારાસભ્ય બનવા માટે મમતા બેનર્જી માટે આજે જીત ખૂબ જરૂરી હતી. હવે મમતા દીદીનો રસ્તો સાફ દેખાઈ રહ્યો છે. ભવાનીપુર સિવાયની પણ બંને સીટ પર તૃણમૂલ કોંગ્રેસ જ આગળ ચાલી રહી છે. ભવાનીપુરમાં કુલ 21 રાઉન્ડમાં મતગણતરી કરવામાં આવશે જે બાદ આધિકારિક રીતે જીત જાહેર કરવામાં આવશે. મમતા બેનર્જીનાં ભાઈ બાબુન બેનર્જીએ કહ્યું કે અમને વિશ્વાસ છે કે જીતનું માર્જિન 60 હજારથી વધારે હશે અને જશ્ન મનાવીશું. નોંધનીય છે કે મમતા બેનર્જીનાં સૌથી વિશ્વાસુ તેમના ભત્રીજા અભિષેક બેનર્જી સવારે જ મમતાનાં નિવાસ સ્થાને પહોંચી ગયા હતા.