નર્મદા નદી એ સામાન્યતઃ લોકો માટે જીવાદોરી સમાન ગણાય છે. નર્મદાનું પાણી આખા ગુજરાતમાં પીવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. ત્યારે ગુજરાતમાં પીવાનાં પાણીને લઈને એક મોટો ખુલાસો થયો છે. સરદાર સરોવર નર્મદા ડેમનું પાણી હવે કાળું પડવા લાગ્યું છે. નર્મદા ડેમનું પાણી કાળું પડતા તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે.
તંત્ર દ્વારા નર્મદા ડેમનું પાણી પીવા માટે ઉપયોગ ન કરવા માટેની સુચના આપવામાં આવી છે. પાણી પુરવઠા બોર્ડે નર્મદાનું પાણી ન પીવા માટે લોકોને સુચના આપી છે. મળતી માહિતી મુજબ નર્મદા ડેમમાં માછીમારો માછલીઓ પકડવા માટે કેમિકલનો ઉપયોગ કરે છે. કેમિકલનાં કારણે નર્મદા નદીમાં ઓક્સિજનની માત્રામાં પણ ઘટાડો થયો છે.
ઓક્સિજનની માત્રામાં ઘટાડો થતાં નર્મદાનું પાણી એકાએક કાળું પડવા લાગ્યું છે. પાણી કાળું પડ્યાં બાદ હવે તંત્ર જાગ્યું છે અને હવે તંત્ર દ્વારા નર્મદા ડેમનાં પાણીનું બેક્ટેરિયલ ટેસ્ટ પણ કરવામાં આવ્યું. બેક્ટેરીયલ ટેસ્ટ નિષ્ફળ રહેતા બોર્ડ દ્વારા લોકોને પાણી ન પીવાની સુચના આપવામાં આવી છે.
મહત્વનું છે કે કાળાં પાણીને શુદ્ધ કરવા માટે ક્લોરિનનો ઉપયોગ કરવામાં આવે છે અને નર્મદા કેનાલમાં ક્લોરિનનો ઉપયોગ કરવું તે શક્ય નથી. જેનાં કારણે હવે તંત્ર દ્વારા લોકોને નર્મદાનાં પાણીમાં ક્લોરિન નાખીને ઉપયોગ કરવા માટેની સુચના અપાઈ છે.