ફણગાવેલાં કઠોળ આપણાં સ્વાસ્થ્ય માટે અત્યંત ફાયદાકારક છે. જેથી રોજની ડાયટમાં 1 વાટકી ફણગાવેલાં કઠોળ અવશ્ય ખાવા જોઈએ. ચાલો જાણીએ તેના ફાયદા.
બહુ જ લાભકારી છે ફણગાવેલા કઠોળ
રોજ ખાવાથી ઘણાં રોગો રહેશે દૂર
ફણગાવેલા કઠોળ ખાવાથી ભરપૂર ફાઈબર અને પ્રોટીન મળે છે
ફણગાવેલા કઠોળમાં ભરપૂર માત્રામાં ફાયબર અને પ્રોટીન હોય છે. જેથી સવારે ખાલી પેટ 1 નાની વાટકી ખાવાથી ઘણાં ફાયદા મળે છે. સાથે જ તેને ખાતાં પહેલાં થોડાં ફ્રાય કરીને અથવા અધકચરાં બાફીને ખાવાની સલાહ આપવામાં આવે છે. ખાસ કરીને બ્રેકફાસ્ટમાં બાળકો, વડીલો અને મહિલાઓ બધા જ પોતાના ડાયટમાં સ્પ્રાઉટ્સ સામેલ કરી શકે છે. સ્પ્રાઉટ્સમાં વિટામિન્સ, મિનરલ્સ અને પ્રોટીન ભરપૂર પ્રમાણમાં હોય છે. આ શરીરની રોગપ્રતિકારક ક્ષમતા વધારે છે.
સ્પ્રાઉટ્સમાં ન્યૂટ્રિશનલ વેલ્યૂ હાઇ હોય છે, કારણ કે તેમાં ફાઇબરની સાથે વિટામિન A, C, K, નિયાસિન, ફોલિક, મેંગનીઝ, કોપર, ઝિંક, આયર્ન અને કેલ્શિયમ હોય છે.
નાસ્તામાં એક વાટકી સ્પ્રાઉટ્સ લઈ શકો છો. તેને ખાધા પછી તરત ચા કે કૉફી ના પીવી. બપોરે લંચમાં સલાડ તરીકે પણ લઈ શકાય. ધ્યાન રાખો કે સ્પ્રાઉટ્સને વ્યવસ્થિત રીતે બે-વાર પાણીમાં ધોઈને જ ખાવા જોઈએ. આ સિવાય જે વાસણ કે કપડાંનો ઉપયોગ કરતા હોય તે પણ એકદમ ચોખ્ખું હોવું જોઈએ.
સ્પ્રાઉટ્સની ન્યૂટ્રિશનલ વેલ્યૂ હાઇ છે અને તે લો કેલેરી ફૂડ છે. એટલે જો ડાયટિંગ પર હોવ તો સ્પાઉટ્સને લેવાનું ના ભૂલશો. તેમાં ફાઇબર હોવાના કારણે ભૂખ નથી લાગતી. આ હંગર હોર્મોન વધુ પ્રમાણમાં રીલિઝ થતા અટકાવી મેદસ્વિતાથી છુટકારો અપાવે છે.
સ્પ્રાઉટ્સમાં ઓમેગા-3 ફેટી એસિડ્સની માત્રા વધુ હોય છે, જે બેડ કોલેસ્ટ્રોલને વધતા અટકાવે છે. તેમજ આ હાર્ટ ડિસીઝ જેવા કે, હાર્ટ એટેક અથવા સ્ટ્રોકથી પણ બચાવે છે અને બ્લડમાં ઓક્સિજનની માત્રા વધારે છે.
વિટામિન C શરીરમાં વ્હાઇટ બ્લડ સેલ્સની સંખ્યા વધારે છે, જેનાથી ઇમ્યૂન સિસ્ટમ મજબૂત થાય છે. સ્પ્રાઉટ્સમાં રહેલાં વિટામિન Aમાં એન્ટીઓક્સીડેન્ટ્સના ગુણ હોય છે, જે રોગપ્રતિકારક ક્ષમતામાં વધારો કરે છે.
સ્પ્રાઉટ્સમાં રહેલા એન્ટિ-ઓક્સિડેન્ટ્સ, વિટામિન C, A અને પ્રોટીન, ફ્રી રેડિકલ્સ ઘટાડી કેન્સરના જોખમને ઘટાડવામાં મદદ કરે છે. ફ્રી રેડિકલ્સ હાર્ટ અને વધતી ઉંમર માટે ખૂબ જોખમી હોય છે.