અત્યારે એવા વિવિધ શાક અને ફળ મળે છે, જેનાથી શરીરને કાળઝાળ ગરમીમાં પણ ઠંડક રહે છે. ઉનાળાની ગરમીમાં શરીરને ઠંડક આપવી જરૂરી છે. ઉનાળામાં ઠંડક માટે ઠંડા પીણાનો ઉપયોગ થાય છે, જે નુકસાન કરે છે. જેથી ઉનાળામાં જ એવા શાકભાજી અને ફળ આવે છે, જેમાં પાણી પુષ્કળ હોય અને તેનો વપરાશ કરવાથી શરીર ઠંડક અનુભવે છે.
પ્રવાહી ખોરાક લો
ઉનાળા દરમિયાન પૂરતું પાણી પીવાનું રાખો. પાણી પીવાથી શરીર હાઇડ્રેટેડ રહેશે. ઉનાળા દરમિયાન ચક્કર આવવાં, બેચેની લાગવી તથા ક્યાંય મન ન લાગવું વગેરે થવાનું કારણ ડિહાઇડ્રેશન છે. માટે ઉનાળા દરમિયાન શરીર માટે જરૂરી પાણી પીવાનું રાખો.
કાચું ખાવ
બને તેટલાં કાચાં શાકભાજી અને ફળફળાદિ ગરમીમાં ખાવ. તેમ કરવાથી ગરમી ઓછી લાગશે. જો ન ભાવે તો તો બાફેલાં શાક ખાવ. વેજિટેબલ્સ કે પછી ફળોનું હોમમેડ જ્યૂસ પીવો.
ગરમ મસાલા ઓછાં ખાઓ
મરીમસાલા લેવાથી શરીર આમ તો ઠંડક મળે છે પરંતુ જો તે પ્રમાણસર ખાઈએ તો જ. માપસર આદુ, લીલા મરચાં, મરી વગેરેથી શરૂઆતમાં ગરમી લાગે છે, પરંતુ તે શરીરને ઠંડુ રાખવામાં મદદરૂપ છે. પ્રવાહી લેવામાં ઘણી વખત ખાંડવાળા પીણા પીવામાં આવે છે, જે ડિહાઇડ્રેશનને વધારે છે અને આઇસક્રીમ કે બીજા ઠંડાં પીણાં પીવાથી ગરમી વધુ લાગે છે. શરીરને ઠંડુ રાખવા માટે પરસેવો થવો જરૂરી છે અને આઇસક્રીમ કે ઠંડા પીણાથી પરસેવો થતો નથી. માટે ઉનાળામાં આઇસક્રીમના બદલે તરબૂચ કે ટેટીનો ઉપયોગ વધારો.
શાકભાજીનો ઉપયોગ
એવાં ઘણાં બધાં શાકભાજી છે જે શરીરને ગરમીથી બચાવવાનું કામ કરે છે. તેનાં સૌથી સારાં ઉદાહરણ ઉનાળાનાં શાકભાજી જેવાં કે, કાકડી, તૂરિયાં, ગલકાં વગેરે છે. ફુદીનો, વરિયાળી વગેરે પણ શરીરને ઠંડક આપવાનું કામ કરે છે. આ બધાં શાકમાં વિપુલ પ્રમાણમાં પાણી આવેલું છે. તે શરીરને ઠંડુ કરવાનુ કામ કરે છે.
ફળનો ઉપયોગ
ફળફળાદિમાં પાણીનો ભાગ વધુ હોય છે. ઉપરાંત તેમાં શરીરને જરૂરી પોષકતત્ત્વો તે એન્ટિઓક્સિડન્ટ પણ છે અને શરીરને ઠંડક આપે છે. આવાં ફળોમાં દ્રાક્ષ, ખાસ કરીને તરબૂચ અને ટેટીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ફળોનો રાજા કેરી શરીરને ઠંડક આપે છે. ઉપરાંત નારંગી પણ ઉનાળામાં ખૂબ જ ઉપયોગી ફળ છે. ફળનો સમાવેશ તમારા રોજિંદા જીવનમાં કરી શકાય છે. જેમ કે, બપોરના સમયે ભૂખ લાગે ત્યારે, સવારે નાસ્તા પછી અને ભોજન પહેલાં.