નંદીગ્રામમાં મમતા બેનર્જીના ઇજાગ્રસ્ત થવાની ઘટના મામલે ચૂંટણી પંચે મોટી કાર્યવાહી કરી છે. CMના સિક્યોરિટી ડાયરેક્ટર સહિત DM-SPને હટાવાયા છે.
નંદીગ્રામ મામલે ચૂંટણી પંચની મોટી કાર્યવાહી
CMના સિક્યોરિટી ડાયરેક્ટર સહિત DM-SPને હટાવાયા
મામલાની તપાસ આગામી 15 દિવસમાં પૂર્ણ કરવા ચૂંટણી પંચનો આદેશ
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના ચૂંટણી પ્રચાર દરમિયાન ઇજાગ્રસ્ત થયા બાદ રાજકીય કૂતુહલ સર્જાયું છે. આ મામલે TMC નેતાઓએ ચૂંટણી પંચ સાથે મુલાકાત કરીને નિષ્પક્ષ તપાસની માંગ કરી. ત્યારે હવે આ મામલાને લઇને રવિવારે ચૂંટણી પંચે વિશેષ બેઠક બોલાવી હતી. આ બેઠક બાદ નંદીગ્રામ મામલે ECએ એક્શન લેતા CM મમતા બેનર્જીના સિક્યોરિટી ડાયરેક્ટરને પદથી હટાવી દીધા છે.
આ સિવાય ઈસ્ટ મિદાનપુરના ડીએમ અને એસપી પર પણ કાર્યવાહી કરવામાં આવી છે. ડીએમ વિભુ ગોયલની તાત્કાલિક અસરથી બદલી કરીને બીન ચૂંટણી પદ પર તૈનાત કરવાનો આદેશ આપ્યો છે. ગોયલની જગ્યાએ 2005 બેચના આઈએએસ અધિકારી સ્મિતા પાંડે લેશે.
ત્યારે, મુખ્યમંત્રીના પ્રવાસ દરમિયાન ચાંપતો સુરક્ષા બંદોબસ્ત રાખવામાં નિષ્ફળ મનાયેલા ઈસ્ટ મિદનાપુરના પોલીસ અધિકારી એટલે એસપી પ્રવીણ પ્રકાશને પણ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા. પ્રવીણની જગ્યા પર 2009 બેચના આઇપીએસ સુનીલ યાદવ કમાન સંભાળશે.
પંચે રાજ્યના મુખ્ય સચિવને સચેત કર્યા છે કે, મુખ્યમંત્રી મમતા મામલે દાખલ કરવામાં આવેલી ફરિયાદની તપાસ યોગ્ય થાય. સાથે જ ડ્યૂટીમાં બેદરકારી વર્તનારા જવાબદાર કર્મચારીઓને કડક સજા મળે. પંચે પંજાબના ગુપ્ત વિભાગના પૂર્વ DGP અનિલ કુમાર શર્માને સ્પેશિયલ પોલીસ ઑબ્ઝર્વર બનાવાયા.
એટલું જ નહીં ચૂંટણી પંચે મામલાની તપાસ આગામી 15 દિવસમાં પૂર્ણ કરવા અને 31 માર્ચ સુધી ચૂંટણી પંચનો રિપોર્ટ આપવાનો આદેશ આપ્યો છે.