પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનરજીની અપીલ બાદ પણ ડોકટરોની હડતાળનું સમાધાન થયું નથી. પશ્ચિમ બંગાળમાં સતત પાંચમા દિવસે ડોકટરોની હડતાળ ચાલુ છે. મુખ્યમંત્રી મમતા બેનરજીએ ડોકટરોને પત્ર લખીને હડતાળ પૂર્ણ કરવા અપીલ કરી તો જવાબમાં ડોકટરોએ પોતાની નવી માગની યાદી જાહેર કરી છે. બંગાળના ડોકટરોની હડતાળને દેશભરમાંથી સમર્થન મળી રહ્યું છે.
બંગાળમાં પાંચમા દિવેસ પણ ડોકટરોની હડતાળ યથાવત
બંગાળના ડોકટરોને દેશભરમાંથી મળ્યું રહ્યું છે સમર્થન
દિલ્લીની 18 હોસ્પિટલ હડતાળમાં જોડાઇ
10 હજારથી વધુ ડોકટર હડતાળ પર
ડોકટરોનું મમતા સરકારને 48 કલાકનું અલ્ટીમેટમ
દિલ્લી એમ્સને રેજિડેન્ટ એસોસિયેશન દ્વારા પશ્ચિમ બંગાળ સરકારને હડતાળી ડોકટરોની માંગને પૂરી કરવા 48 કલાકનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે. એસોસિયેશને જણાવ્યું છે કે જો સરકાર માગ પૂરી નહી કરે તો એમ્સમાં અનિશ્ચિતકાળની હડતાળ કરવામાં આવશે.
આમ પશ્ચિમ બંગાળમાં શુક્રવારથી તબીબી સેવા ઠપ થઇ ગઇ છે. સરકારી હોસ્પિટલમાં 700થી વધુ ડોકટરોએ પોતાના પદ પરથી રાજીનામાં આપી દીધા છે. ગત સોમવારે પશ્ચિમ બંગાળમાં એનઆરએસ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલમાં બે ઇન્ટર્ન ડોકટરો પર હુમલો કરવામાં આવ્યો હતો. જેને લઇને ડોકટરો હડતાળ પર ઉતરી ગયા છે.
મુખ્યમંત્રી મમતા બેનરજીએ શુક્રવારની રાતે ડોકટરોને મળવા માટે બોલાવ્યાં હતા પરંતુ તેમને ઇન્કાર કરી દીધો હતો. ત્યારબાદ મમતા બેનરજીએ આજે ફરી વાર મળવા માટે આમંત્રણ મોકલ્યું છે, તેથી ઝડપથી સરકારી હોસ્પિટલમાં ચાલી રહેલી હડતાળ પૂરી થાય. ડોકટરની માગણી છે કે તેઓ અમારી કોઇપણ શરત વગર માફી માગે.
આ અગાઉ મમતા બેનરજી ગુરૂવારે એસએસકેએમ હોસ્પિટલ પહોંચી હતી અને હડતાળ કરી રહેલા ડોકટરને ચાર કલાકમાં કામ પર પરત ફરવા અલ્ટીમેટમ આપ્યું હતું. જો કે આ નિવેદને ડોકટરોમાં રહેલા ગુસ્સાને શાંત કરવાના બદલે વધુ ભડકાવ્યો હતો.
એક દિવસમાં 700થી વધારે ડોકટરો દ્વારા રાજીનામું આપવું તે મુખ્યમંત્રીના ગુરૂવારે આપેલા નિવેદનનું પરિણામ છે. મુખ્યમંત્રી મમતા બેનરજીએ ગુરૂવારના રોજ ડોકટરોને કહ્યું હતું કે જો તેઓ કામ પર પરત નહીં ફરે તો તેમના વિરુધ્ધ કાર્યવાહી કરવામાં આવશે.