આજે પશ્ચિમ બંગાળમાં ભાજપમાં સામેલ થતાં જ મિથુન ચક્રવર્તીએ પીએમ મોદીના મંચથી ભાષણ આપ્યું હતું જેમાં તેમણે મોટા નિવેદનો આપ્યા છે.
બંગાળમાં ભાજપનો મોટો દાવ
મિથુન ચક્રવર્તી ભાજપમાં સામેલ
મિથુને પીએમ મોદીના મંચથી આપ્યું ભાષણ
મિથુને ધારણ કર્યો ભાજપનો ભગવો
પશ્ચિમ બંગાળમાં આ વખતે ભારતીય જનતા પાર્ટી મમતા બેનરજીને જોરદાર ટક્કર આપી રહી છે અને ભારતીય જનતા પાર્ટીના નેતાઑ દાવા કરી રહ્યા છે કે આ વખતે બંગાળમાં ભગવો લહેરાશે ત્યારે ચૂંટણી પહેલા ભાજપે મોટો ખેલ પાડી દીધો છે. ભારતીય સિનેમાના સુપર સ્ટાર મિથુન ચક્રવર્તી આજે પીએમ મોદીના મંચ પરથી ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થઈ ગયા. આજે પીએમ મોદી સભા ગજવે તે પહેલા બ્રિગેડ ગ્રાઉન્ડ પર મિથુને ભગવો ધારણ કર્યો.
લહેરાવ્યો ભગવો ધ્વજ
પીએમ મોદી કોલકાતા પહોંચે તે પહેલા મિથુન ચક્રવર્તી બ્રિગેડ ગ્રાઉન્ડ પહોંચ્યા જ્યાં તેમણે ભારતીય જનતા પાર્ટીનો ભગવો ધારણ કરી લીધો. આ સાથે જ તેમણે ભારતીય જનતા પાર્ટીનો ઝંડો પણ લહેરાવ્યો હતો. નોંધનીય છે કે કોલકાતાના બ્રિગેડમાં પીએમ મોદીની રેલીમાં સામેલ થવા માટે હજારોની સંખ્યામાં લોકો ભેગા થયા હતા.
મિથુન ચક્રવર્તીએ આ રેલીમાં એક બાદ એક ઘણા બધા ડાયલોગ પણ સંભળાવ્યા અને ભાષણ આપ્યું. તેમણે કહ્યું કે હું અસલી કોબરા છું, ડંખ મારી દઇશ તો ફોટો બની જશો. તેમણે આગળ કહ્યું કે મને ખબર છે કે મારા ડાયલોગ તમને ખૂબ પ્રિય છે. તેમણે આગળ કહ્યું કે આજનો દિવસ મારા માટે સપના સમાન છે. આટલા મોટા નેતાઑ સાથે મંચ શેર કરીશ એવું મેં વિચાર્યું પણ ન હતું.
હું જે બોલું છું તે હું કરું છું : મિથુન
પીએમ મોદીના સંબોધન પહેલા મિથુન ચક્રવર્તીએ સંબોધન કર્યું અને કહ્યું કે અમે ગરીબો માટે કઇંક કરવા માંગીએ છે. અમે બંગાળમાં રહેતા દરેક લોકોને બંગાળી જ માનીએ છે તથા જે અમારા હક અધિકાર છીનવી લેવાના પ્રયત્ન કરશે તેમની સામે અમે ઊભા રહીશું. મારુ નામ મિથુન ચક્રવર્તી છે અને હું જે બોલું છું તે હું કરું છું. હું ગર્વથી કહું છું કે હું બંગાળી છું.
પીએમ મોદીએ ભરી હુંકાર
પીએમ મોદીની સભામાં જય શ્રી રામ અને ભારત માતા કી જયના નારા ગૂંજી રહ્યા હતા ત્યારે પીએમ મોદીએ કહ્યું કે આ ધરતી આપણાં સંસ્કારોને ઉર્જા આપે છે અને બંગાળની આ ધરતીએ ભારતની આઝાદીના આંદોલનમાં નવા પ્રાણ ફૂંક્યા હતા. આ ધરતીએ ભારતનું ગૌરવ વધાર્યું છે પણ મમતા દીદીએ બંગાળને દગો આપ્યો છે.
એવું લાગે છે કે આજે જ બીજી મે આવી ગઈ છે : મોદી
પીએમ મોદીએ કહ્યું કે બંગાળે પરિવર્તન માટે મમતા દીદી પર ભરોસો કર્યો હતો પરંતુ તેમણે લોકોને ભરોસો તોડ્યો છે. આ લોકોએ બંગાળને અપમાનિત કર્યું છે. અહિયાંની બહેન દીકરી પર અત્યાચાર કરવામાં આવ્યા છે. આ વખતે એક તરફ ટીએમસી છે અને બીજી તરફ બંગાળની જનતાએ કમર કસી લીધી છે. કેટલાક લોકોને તો એવું લાગે છે કે આજે જ કદાચ બીજી મે આવી ગઈ છે.
હું અહિયાં વિશ્વાસ અપાવવા આવ્યો છું : મોદી
પીએમ મોદીએ કહ્યું કે બ્રિગેડ ગ્રાઉન્ડમાં આપ સૌને હું પરિવર્તનનો વિશ્વાસ અપાવું છું. વિશ્વાસ બંગાળના વિકાસનો. વિશ્વાસ બંગાળની સ્થિતિઓ બદલવાનો. વિશ્વાસ રોકાણ વધારવાનો. વિશ્વાસ બંગાળના પુનનિર્માણનો. હું વિશ્વાસ અપાવવા આવ્યો છું કે અહિયાં નવયુવાનો, ખેડૂતો, ઉદ્યમીઓ અને અહીની બહેન દીકરીઓ માટે અમે 24 કલાક દિવસ રાત કામ કરીશું. પીએમ મોદીએ કહ્યું કે મારા શબ્દો લખીને રાખજો જે લોકોએ બંગાળનું છીનવ્યું છે તે બધુ જ પાછું આપવું પડશે.