શિયાળો શરૂ થાય એટલે બજારમાં સ્ટ્રોબેરી દેખાવા લાગે છે. આ ફળનાં સ્વાસ્થ્ય વર્ધક લાભ પણ ઘણા છે, પરંતુ તેને ખાવાની યોગ્ય રીત જાણવી પણ એટલું જ જરૂરી છે.
સ્ટ્રોબેરી વિટામિન્સ અને મિનરલ્સથી ભરપૂર
સ્ટ્રોબેરીનો ઍન્ટિોક્સિડન્ટ ખૂબ લાભ આપે
સ્ટ્રોબેરીથી ગળાની સમસ્યા દૂર થાય
સ્ટ્રોબેરી વિટામિન્સ અને મિનરલ્સથી ભરપૂર છે. તેમાં ફોલિક એસિડ, વિટામિન સી, આયર્ન, પોટેશિયમ, મેન્ગેનીઝ, પ્રાકૃતિક સાકર, થોડું પ્રોટીન અને નહીંવત કહી શકાય એવા ઓછા પ્રમાણમાં ચરબી રહેલી છે. આ એન્ટિઓક્સિડન્ટ છે જેનાથી શરીરમાં વૃદ્ધત્વની પ્રક્રિયા ધીમી થઈ શકે છે. બહારનાં પર્યાવરણની આડઅસરનું પ્રમાણ પણ એન્ટિઓક્સિડન્ટના ગુણને કારણે ઓછું થઈ શકે છે. જેમની ત્વચા તડકાને કારણે કાળી પડી ગઈ હોય તેઓ માટે સ્ટ્રોબેરીનો ઍન્ટિોક્સિડન્ટ ખૂબ લાભ આપે છે.
સ્ટ્રોબેરી એક નરમ ફળ છે. બાળકથી લઈને વૃદ્ધો સુધી કોઈ પણ ઉંમરની વ્યક્તિ આનું સેવન સરળતાથી કરી શકે છે. તેમાંથી પ્રાકૃતિક આયર્ન પણ મળી રહે છે. વિટામિન સી અને પ્રાકૃતિક આયર્નને કારણે ગર્ભવતી સ્ત્રી અને સ્તનપાન કરાવતી માતાઓ માટે સ્ટ્રોબેરીનું સેવન લાભદાયી છે. આમાં રહેલું ફ્રૂક્ટોઝ શરીરમાં ઝડપથી સુગરનું પ્રમાણ વધારતું નથી.’
સ્ટ્રોબેરીમાં પોટેશિયમનું પ્રમાણ વધારે છે અને સોડિયમનું પ્રમાણ ખૂબ જ ઓછું છે. એના આ બે ગુણોનાં સંયોજનને કારણે હાઇપર્ટેન્શનના દરદી માટે સ્ટ્રોબેરીનું સેવન લાભદાયી બની રહે છે. તેમાં ફાઇબર્સ ભરપૂર હોય છે. તે ખાવાથી પેટ ભરેલું રહે છે. સ્ટ્રોબેરીના આ ગુણને કારણે જેઓ વજન ઓછું કરવા માગે છે તેઓ પણ સ્ટ્રોબેરી ખાઈ શકે છે. આ સિવાય જેમને કબજિયાતની સમસ્યા છે તેમના માટે આનું સેવન ઉત્તમ છે. ડાયાબિટીઝના દરદી સ્ટ્રોબેરી થોડા પ્રમાણમાં ખાઈ શકે છે. આમાં રહેલું ફાઇબર ધીરે-ધીરે શુગરને લોહીમાં ભળવા દે છે, જેને કારણે લોહીમાં સાકરનું પ્રમાણ નિયંત્રણમાં રહે છે પણ ડાયાબિટીઝના દરદીઓએ પોતાના ડોક્ટરને પૂછીને જ આનું સેવન કરવું.
સ્ટ્રોબેરીનું સેવન વધારે પ્રમાણમાં ન કરવું જોઈએ નહીં તો અમ્લપિત્તનું પ્રમાણ શરીરમાં વધે છે. સ્ટ્રોબેરીથી ગળાની સમસ્યા, ત્વચા પર પિત્તને કારણે ચાઠાં, શરદી, ઉધરસ આવા રીએક્શનનું પ્રમાણ પણ વધારે જોવા મળે છે. સ્ટ્રોબેરીનો ઉપયોગ લોકો ખાવા કરતાં પણ વધારે દૂધ અને દહીં સાથે કરે છે. આના પર પોતાનો મત આપતાં ડૉ મંગેશ કહે છે, ‘આ એક ખાટા રસવાળું ફળ છે તેથી એ અમ્લ વર્ગમાં આવે છે. આયુર્વેદ મુજબ ખટાશ અને દૂધ અથવા દૂધની કોઈ પણ પ્રોડક્ટનું મિશ્રણ વિરુદ્ધ આહારમાં ગણાય છે, જે શરીરમાં રોગને આમંત્રણ આપે છે. સ્ટ્રોબેરી મિલ્કશેક, સ્ટ્રોબેરી વિથ ક્રીમ, સ્ટ્રૉબેરી કેક આ બધું ખાવું હિતાવહ નથી. આને કારણે લાંબા ગાળે ત્વચાની સમસ્યા નક્કી જ ઉદભવી શકે છે અને ઘણી વાર તો ત્વચાની નાની ઍલર્જીથી લઈને મોટા રોગોનું કારણ પણ આવા વિરુદ્ધ આહાર હોય છે. તેથી આવું ન કરવું જોઈએ