ગુજરાતમાં 2 હેક્ટરથી ઓછી ખેતીની જમીન ધરાવતા નાના અને સીમાંત ખેડૂતો પૈકી દસેક ટકા ખેડૂતોને એટલે કે લગભગ 4-5 લાખ ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન પેન્શન (માનધન) યોજનાનો લાભ મળવાનો અંદાજ છે, જે યોજના ઓગસ્ટ મહિનાના અંતથી અમલમાં આવશે તેવું સૂત્રો જણાવી રહ્યા છે.
કિસાન પેન્શન યોજનામાં ૬૦ વર્ષની ઉંમરના ખેડૂતને મહિને 3000 રૂપિયાનું પેન્શન મળશે. 18થી 40 વર્ષની વયજૂથના નાના અને સીમાંત ખેડૂતોને આ યોજનામાં સમાવી લેવામાં આવશે. વયજૂથ પ્રમાણે પ્રીમિયમ ભરવાના સ્લેબ નક્કી થયા છે, જે મુજબ ૧૮ વર્ષના યુવા ખેડૂતે મહિને માત્ર 55 રૂપિયાનું પ્રીમિયમ ભરવું પડશે અને એટલી જ રકમ કેન્દ્ર સરકાર પણ એલઆઈસીમાં જમા કરાવશે.
જ્યારે ૪૦ વર્ષની વય ધરાવતા ખેડૂતે મહિને ૨૦૦ રૂપિયાનું પ્રીમિયમ ભરવાનું રહેશે. સાથે એટલું જ પ્રીમિયમ કેન્દ્ર સરકાર જમા કરાવશે. ૪૦ વર્ષથી વધુ વયના ખેડૂતોને આ યોજનાનો લાભ મળશે નહીં. આ યોજના મરજિયાત રહેશે. યોજનામાં દાખલ થનાર ખેડૂતે ૬૦ વર્ષની ઉંમર સુધી પ્રીમિયમ ભરવાનું રહેશે. રાજ્યમાં કુલ ૫૪ લાખ જેટલા નાના અને સીમાંત ખેડૂતો છે, જે પૈકી ૧૦ ટકા ખેડૂતોને આ યોજનાનો લાભ મળશે એવી ગણતરી છે.
જાણો યોજનાનો લાભ કોને મળશે અને કોને નહીં?
પેન્શનર કિસાનનું ૬૦ વર્ષ બાદ મૃત્યુ થાય તો તેની પત્ની અથવા પતિને ૫૦ ટકા ફેમિલી પેન્શનનો લાભ મળશે.
જો ૬૦ વર્ષ પહેલાં કિસાનનું મૃત્યુ થાય તો તેણે ભરેલા હપ્તા વ્યાજ સહિત પરત અપાશે. જો એની પત્ની કે પતિ આ યોજના ચાલુ રાખવા માગે તો પ્રીમિયમ ભરવાથી યોજનામાં ચાલુ રહી શકશે.
વ્યવસાયિકોને, સરકારી નોકરિયાતોને, આવકવેરો ભરનારાઓને આ યોજનાનો લાભ નહીં મળે.