શિયાળામાં સ્કિન ઝડપથી સૂકી થઇ જાય છે એટલે શરીરને બહારથી નરીશમેન્ટની જરૂર પડે છે. શિયાળામાં લીલાં શાકભાજીનો ભોજનમાં સમાવેશ અચૂક કરવો જોઇએ. લીલાં શાકભાજીમાં ભરપૂર માત્રામાં વિટામિન, મિનરલ, પ્રોટીન, ફાઈબર અને એન્ટિઓક્સિડન્ટ હોવાથી આપણને તંદુરસ્ત રહેવામાં મદદ મળે છે.
લીલા શાકભાજીથી થાય છે અઢળક ફાયદા
ઇમ્યૂનીટિ વધારવા માટે ફાયદાકારક
કોરોનાકાળમાં ખાઓ લીલા શાકભાજી
લીલાં શાકભાજીમાંથી બનાવેલી વાનગીથી મળતાં એન્ટિઓક્સિડન્ટ્સ અને ફાઈટોકેમિકલ્સ શરીરને રોગોથી બચાવે છે. શિયાળામાં આપણા શરીરને પોષણ સાથે ગરમી મળી રહે અને ઇમ્યુનિટી વધારે એવા રિચ ફૂડની જરૂર હોય છે એટલે શરીરને ગરમી આપે તેવાં શાકભાજી ખાવાં જરૂરી છે. ગાજર, શક્કરિયાં, કોળું, પાલક, મેથી વગેરે બજારમાં ભરપૂર પ્રમાણમાં મળે છે. આ બધાં શાકભાજીમાં વિટામિન-એ, સી અને આયર્ન વગેરે ભરપૂર પ્રમાણમાં મળે છે.
પાલક: પાલક પોષકતત્ત્વોથી ભરપૂર સુપરફૂડ છે, જેમાં વિટામિન, ખનિજ અને એન્ટિઓક્સિડન્ટની માત્રા ઉચ્ચ પ્રમાણમાં હોય છે, જ્યારે કેલરીની માત્રા ઓછી હોય છે. ચુસ્ત શાકાહારી છે તેમના માટે પાલક સર્વોત્તમ છે.
ફ્લાવર: ફ્લાવરમાં પ્રોટીન, વિટામિન અને ખનિજ ભરપૂર માત્રામાં હોય છે. ઉપરાંત વિટામિન સી, કે, ફોલેટ તેમજ બી-સિક્સ પણ પ્રચુર માત્રામાં હોય છે. પોટેશિયમ, ફોસ્ફરસ, ઝિંક, કોપર, આયર્ન જેવાં જરૂરી ખનિજ તત્ત્વો પણ એમાંથી મળી રહે છે.
વટાણા: ૧૦૦ ગ્રામ વટાણામાં ફક્ત ૨૬ ટકા જ કેલરી હોય છે, જ્યારે ફાઈબરનું પ્રમાણ ૩.૪ ગ્રામ જેટલું રહેલું હોય છે અને વિટામિન એ, સી, બી-સિક્સ ભરપૂર માત્રામાં હોય છે. વટાણાનું સેવન પાચનની સમસ્યા તેમજ વજન ઘટાડવા માટે ઉપયોગી છે.
તેજાના અને મસાલાઃ શિયાળામાં મરી, હિંગ, અજમો વગેરે જેવા વિવિધ સ્પાઇસીસથી બનાવેલ ગરમ વેજીટેબલ સૂપ કે હર્બલ ટી શરીરને જુદાં જુદાં બધાં ન્યુટ્રીઅન્ટ્સ દ્વારા ગરમી અને તંદુરસ્તી આપે છે.
તુલસી, ફુદીનો, લેમનગ્રાસઃ તુલસી, ફુદીનો અને લેમનગ્રાસ એ પાચનને મદદ કરનાર, શરીરને વોર્મ રાખનાર અને શરીરનું ઇમ્યુનિટી લેવલ વધારનાર હર્બ્સ છે.