રોજિંદા જીવનમાં ઘઉંની અગત્યતા આપણે ત્યાં ઘણી છે. રોજ સવારે લગભગ દરેક ઘરમાં સૌથી પહેલો ઘઉંનો લોટ બંધાઈ જતો હોય છે. ઘઉં પોષકતત્વોથી ભરપૂર છે. ચાલો જાણીએ ફાયદા.
રોજની ડાયટમાં ઘઉં ખાવાથી રોગો રહે છે દૂર
ઘઉંના ફાડા અને છડેલાં ઘઉં પણ ખૂબ જ લાભકારી હોય છે
એનિમિયાની સમસ્યામાં ઘઉંનું સેવન કરવાથી લાભ થાય છે
ઘઉંમાં કાર્બોહાઇડ્રેટ્સ, પ્રોટીનની સાથે મિનરલ સોલ્ટ્સ, કેલ્શિયમ, પોટેશિયમ, સલ્ફર, સિલિકોન, મેંગેનીઝ, ઝિંક, આયોડિન, કોપર, વિટામિન 'બી', વિટામિન 'ઈ' આવેલા છે, માટે જ કદાચ વર્ષોથી ઘઉંનો ખોરાક આપણે ત્યાં પ્રચલિત છે.
આવી તકલીફોમાં ઘઉં છે ફાયદાકારક
એનિમિયા (ઓછું લોહી હોવું), ઓછા મિનરલ્સ હોવા, ગોલસ્ટોન, બ્રેસ્ટ કેન્સર, વજન વધુ હોવું, શ્વાસની તકલીફ હોવી વગેરે રોગોને દૂર કરવા માટે ઘઉં ખાવા જરૂરી છે. આખા ઘઉં, છડેલા ઘઉં, ઘઉંના ફાડા વગેરે કોલેસ્ટ્રોલના પ્રોબ્લેમને પણ દૂર કરે છે. જો આ જ ઘઉંને ફણગાવવામાં આવે અને પછી તેને સૂકવીને તેને વાપરવામાં આવે તો તેમાં વિટામિનની 'બી' 2થી 3 ગણું વધી જાય છે. વધુ પડતા ગેસ, અપચાને તેનાથી દૂર કરી શકાય છે. તેના કારણે કોલેસ્ટ્રોલને દૂર કરીને હાર્ટને પણ રોગમુક્ત રાખી શકાય છે.
ફાયદા
વજન ઘટાડવામાં મદદરૂપ
ઘઉંનો ખોરાક ખાવાથી જે સંતોષ મળે છે તે બીજા ખોરાકથી મળતો નથી. સવારની શરૂઆત જો રોટલી ખાવાથી કરવામાં આવે તો ઝડપથી ભૂખ લાગતી નથી. ઉપરાંત સવારના ભોજનમાં પણ રોટલી સાથે દાળ-શાક ખાવાથી પેટ ભરાઈ જાય છે અને આડુંઅવળું ખાવું પડતું નથી.
મેટાબોલિઝમ સારું રહે છે
ઘઉંનો ખોરાક ખાવાથી વારંવાર વધતા વજનની સમસ્યા ઘટે છે અને મેટાબોલિઝમ વધુ સારું રહે છે.
ડાયાબિટીસમાં ફાયદો
ભાત કરતાં ઘઉંની રોટલી-ભાખરી ખાવાથી ડાયાબિટીસમાં લાભ થાય છે. બ્લડ શુગર લેવલ વધતું નથી. જેથી ડોક્ટર પણ ડાયાબિટીસના દર્દીઓને ભાત ન ખાવાની અને તેની જગ્યાએ રોટલી ખાવાની સલાહ આપે છે.
સોજા ઓછા કરે છે
ઘઉંમાં આવેલો 'બિટેઇન' નામનો પદાર્થ સોજાને ઓછા કરે છે અને ઘૂંટણના દર્દો, હાર્ટના રોગો, અલ્ઝાઇમર્સ વગેરે રોગોને દૂર રાખે છે. જેથી રોજિંદી ડાયટમાં ઘઉંને સામેલ કરવાથી ઘણાં ફાયદા મળે છે.