ભારતીય ક્રિકેટ ટીમ ભલે વર્લ્ડકપની ફાઇનલ સુધી પહોંચી ના શકી, પરંતુ ભારતીય ફેન્સે એમાંથી ફાયદાનો રસ્તો શોધી લીધો છે. ભારતીય ચાહકો ફાઇનલની ટિકિટમાંથી લાખોની કમાણી કરી રહ્યા છે. ઈંગ્લેન્ડમાં ભારતીય ચાહકોની સંખ્યા ઘણી મોટી છે. જ્યારે પણ ભારતની મેચ રમાય છે ત્યારે આખું સ્ટેડિયમ બ્લૂ રંગમાં રંગાયેલું જોવા મળે છે.
ભારતીય ચાહકોએ એ આશા સાથે ફાઇનલની ટિકટ ખરીદી રાખી હતી કે ટીમ ઇન્ડિયા લોર્ડ્સના મેદાનમાં ખિતાબ માટે ઊતરશે, પરંતુ એવું બની શક્યું નહીં અને ફાઇનલમાં ઈંગ્લેન્ડ-ન્યૂઝીલેન્ડની ટીમ આવતી કાલે સામસામે ટકરાવાની છે.
Dear Indian cricket fans. If you don’t want to come to the final anymore then please be kind and resell your tickets via the official platform. I know it’s tempting to try to make a large profit but please give all genuine cricket fans a chance to go, not just the wealthy ❤️ 🏏
મીડિયા રિપોર્ટ્સ અનુસાર ભારતીય ટીમ ફાઇનલમાં ન પહોંચતાં ટિકિટના કાળાબજાર શરૂ થઈ ગયા છે. ભારતીય ચાહકોએ ફાઇનલ મેચ માટે લગભગ અડધાથી વધુ ટિકિટ અગાઉથી જ ખરીદી લીધી હતી અને હવે ટિકિટ ખરીદનારા અસંખ્ય ચાહકો ટિકિટ વેચીને કમાણી કરી રહ્યા છે. ન્યૂઝીલેન્ડના ચાહકો કોઈ પણ કિંમતે ફાઇનલની ટિકિટ ખરીદવા માટે પડાપડી કરી રહ્યા છે.
આ જ કારણથી ન્યૂઝીલેન્ડના ઓલરાઉન્ડર જિમી નીશામે ટ્વિટ કરીને ભારતીય ચાહકોને થોડા ફાયદા માટે પોતાની ટિકિટ ના વેચવાની અપીલ કરી છે. નીશામે ભારતીય ફેન્સને કહ્યું, ''જો તમે ફાઇનલ જોવા માટે ના આવવા માગતા હો તો તમારી ટિકિટ સત્તાવાર પ્લેટફોર્મ દ્વારા પાછી આપી દો. હું જાણું છું કે આ કમાણી કરવાનો આકર્ષક મોકો છે, પરંતુ તમે અમીર બનવાના બદલે બીજા ચાહકોને ફાઇનલ જોવાની તક આપો.''
અહેવાલો અનુસાર ભારત ફાઇનલમાં ના પહોંચવાના કારણે ટિકિટોનાં ધૂમ કાળાંબજાર થઈ રહ્યાં છે. કેટલીક ટિકિટ્સ ૨૫ ગણી વધુ કિંમતે વેચાઈ ચૂકી છે. ૯૫ થી ૩૯૫ પાઉન્ડની કિંમતવાળી ટિકિટ ૧૦,૦૦૦ પાઉન્ડમાં વેચાઈ રહી છે.