ગુજરાતની પ્રજાને આકર્ષવા માટે કોંગ્રેસે અપનાવી નવી રણનીતિ, હવેથી ધાર્મિક કાર્યક્રમોનું કરશે આયોજન
ભાજપના હિન્દુત્વ સામે કોંગ્રેસનુ સોફ્ટ હિંદુત્વ
ચૂંટણી પહેલા કોંગ્રેસ અપનાવશે સોફ્ટ હિંદુત્વ
શહેરોમાં કથા,આરતીઓનુ કરશે આયોજન
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને ભાજપ દ્વારા પુરજોશથી તૈયારીઓ કરવામાં આવી રહી છે. કેન્દ્રીય મંત્રીઓના ગુજરાતમાં આંટાફેરા વધી રહ્યા છે. વિકાસના કાર્યોનું લોકાર્પણ થઇ રહ્યું છે ત્યારે કોંગ્રેસ પણ મેદાને આવવા તૈયારીઓ કરી રહ્યું છે. ભાજપની હિંદુત્વની રાજનીતિ વચ્ચે કોંગ્રેસ સોફ્ટ હિંદુત્વ અપનાવશે.
કોંગ્રેસ અપનાવશે સૉફ્ટ હિંદુત્વ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને દરેક રાજકિય પાર્ટીઓ નવી નવી રણનીતિ અપનાવી રહી છે તેવી જ રીતે કોંગ્રેસે પણ એક નવી રણનીતિ અપનાવવા જઇ રહ્યું છે. જી, હા, હિંદુત્વની પોલિટિક્સ હાવી થતાં કોંગ્રેસ સોફ્ટ હિંદુત્વ અપનાવશે. શહેરી વિસ્તારમાં કોંગ્રેસને મજબૂત કરવા સોફ્ટ હિંદુત્વનો સહારો લેવામાં આવશે. વધુમાં વધુ લોકોને આકર્ષવા માટે કોંગ્રેસ સૉફ્ટ હિંદુત્વ અપનાવશે. જે માટે શહેરી વિસ્તારમાં કથાઓ તથા આરતીઓનું આયોજન કરશે. આ ઉપરાંત શ્રાવણ મહિનામાં મહાદેવની પૂજાનું આયોજન કરવામાં આવશે. આ ઉપરાંત કોંગ્રેસ ગણેશ ઉત્સવ અને નવરાત્રીમાં પણ સામુહિક આયોજન કરશે.
પાટીદારો-સૌરાષ્ટ્રને રિઝવવાનો ભાજપનો પ્રયાસ ?
તો આ તરફ ગુજરાતની ચૂંટણી જીતવા માટે પ્રધાનમંત્રી માટે પાટીદાર અને સૌરાષ્ટ્રનું દિલ જીતવાના પ્રયાસો થઇ રહ્યા છે. કારણ કે માત્ર 3 જ મહિનામાં પાટીદારોને લગતા PM મોદીએ 6 મોટા કાર્યક્રમ કર્યા. પ્રધાનમંત્રી મોદીએ માર્ચ મહિનાથી મે મહિના સુધી 17 મોટા કાર્યક્રમ માત્ર ગુજરાત રાજ્યમાં કર્યા, જેમાંથી 6 કાર્યક્રમની લિન્ક પાટીદારો સાથે હતી. 10મી એપ્રિલે જુનાગઢમાં ઉમિયા માતા મંદિરના 14માં પાટોત્સવમાં PM મોદીએ પાટીદારોને સંબોધન કર્યું જ્યારે 28મી એપ્રિલે ભુજમાં K K પટેલ હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યુ. આટકોટમાં માતૃશ્રી કેડીપી મલ્ટી સ્પેશિયાલીટીનું ઉદ્ઘાટન, સહિતના કાર્યક્રમો પીએમ મોદીએ કર્યા.
આમ આદમી પાર્ટી પણ ગુજરાતમાં સક્રિય
તો આ તરફ આમ આદમી પાર્ટી ગુજરાત મોડલની પંજાબ અને દિલ્હી સાથે સરખામણી કરી રહી છે. આમ આદમી પાર્ટીના નેતાઓ જ્યારે પણ ગુજરાત આવે ત્યારે શિક્ષણ, મેડિકલ સુવિધા સહિતની જનતાના હિતની વાતોમાં મફતમાં આપવાના વાયદા કરીને જાય છે. સોશિયલ મીડિયામાં પણ આમ આદમી પાર્ટી પોતાની સરકારમાં કામગીરી શ્રે્ષ્ઠ હોવાનું ગણાવીને ગુજરાત સરકાર પર પ્રહારો કરતી જોવા મળી છે. ત્યારે આમ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને દરેક રાજકીય પાર્ટીઓ કોઇને કોઇ મુદ્દે જનતાનો આકર્ષવાનો પ્રયાસ કરી રહી છે