રવિન્દ્ર જાડેજા અને CSK વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી ગઈ છે. જાડેજાને મનાવવાનો છેલ્લો પ્રયાસ CSK દ્વારા કરવામાં આવશે.
જાડેજા અને CSKના સંબંધોમાં ખટાશ
જાડેજાને મનાવવા CSKનો છેલ્લો પ્રયાસ
તૂટશે ધોની-રવીન્દ્ર જાડેજાની જોડી?
IPLની 16મી સિઝનના ઓક્શનની તારીખ જાહેર થયા બાદ ફરી એક સવાલ ઉભો થયો છે કે શું ચેન્નાઈ સુપર કિંગ્સ અને રવિન્દ્ર જાડેજા વચ્ચેના સંબંધો અકબંધ રહેશે? CSK તરફથી સતત એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે રવિન્દ્ર જાડેજા તેની ટીમ સાથે રહેશે. પરંતુ રિપોર્ટ દ્વારા એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે રવિન્દ્ર જાડેજાએ CSKથી અલગ થવાનો નિર્ણય લીધો છે. લેટેસ્ટ રિપોર્ટ અનુસાર હરાજી પહેલા CSK દ્વારા જાડેજાને રોકવાનો છેલ્લો પ્રયાસ કરવામાં આવશે.
જાડેજા સાથે સંપર્ક કરવાનો પ્રયત્ન
એક રિપોર્ટ અનુસાર આગામી 5 કે 6 દિવસમાં CSKમાં રવિન્દ્ર જાડેજાના રહેવા અંગે સ્થિતિ સ્પષ્ટ થઈ શકે છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે CSK ટીમ મેનેજમેન્ટ એક સપ્તાહની અંદર રવિન્દ્ર જાડેજાનો સંપર્ક કરશે. જો જાડેજાનો સંપર્ક નહીં થઈ શકે તો CSK મીની ઓક્શન પહેલા તેને રિલિઝ કરશે.
CSK સાથે લીગલ કોન્ટ્રાક્ટ
CSK ટીમ સાથે સંકળાયેલા એક અધિકારીએ જણાવ્યું હતું કે, “દરેક વ્યક્તિ જાણે છે કે CSK અને રવિન્દ્ર જાડેજા વચ્ચે બધુ બરાબર નથી. છેલ્લા ઘણા મહિનાઓથી, રવિન્દ્ર જાડેજા CSK મેનેજમેન્ટના ફોન કૉલ્સ અને મેસેજનો જવાબ આપી રહ્યા નથી. પરંતુ હજુ સુધી જાડેજાનો CSK સાથે લીગલ કોન્ટ્રાક્ટ છે. જેથી જાડેજા સાથે સંપર્ક સાધવાનો છેલ્લો પ્રયાસ કરવામાં આવશે. જો જાડેજા જવાબ નહીં આપે તો CSK તેના રિલીઝ અંગે BCCIને જાણ કરશે.