હિન્દુ ધર્મને ફરીથી અપનાવવા મામલે એટલે કે 'ઘર વાપસી' પર રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘનું મોટું નિવેદન સામે આવ્યું છે. RSSના સર કાર્યવાહ દત્તાત્રેય હોસબોલેએ કહ્યું કે, જેઓ હિન્દુ ધર્મ છોડીને અન્ય ધર્મમાં ગયા છે તેમના માટે અમારા દરવાજા ખુલ્લા છે.
જયપુરમાં RSSના સર કાર્યવાહનું મહત્વનું નિવેદન
હિન્દુ ધર્મ છોડીને ગયેલા લોકો માટે દરવાજા ખુલ્લા છેઃ દત્તાત્રેય હોસબોલે
જેમના પૂર્વજો હિન્દુ છે, તેઓ બધા હિન્દુ છેઃ દત્તાત્રેય હોસબોલે
રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (RSS)ના સરકાર્યવાહ દત્તાત્રેય હોસબોલે (dattatreya hosabale)એ કહ્યું છે કે, જેમના પૂર્વજો હિન્દુ છે, તેઓ બધા હિન્દુ છે. તેઓ આજે કઈ પૂજા કરે છે અથવા તેમની માન્યતાઓ શું છે, તે અમારો વિચાર નથી. જેઓ પોતાને હિન્દુ માને છે, તેઓ પણ હિન્દુ છે. જયપુરના બિરલા ઓડિટોરિયમમાં આયોજિત એક કાર્યક્રમમાં તેમણે કહ્યું કે, જો કોઈએ મજબૂરીમાં બીફ ખાધું છે અને હિન્દુ ધર્મ છોડીને અન્ય ધર્મ ગયા છે, તેમના માટે દરવાજા બંધ થયા નથી. આજે પણ તેઓની ઘર વાપસી થઈ શકે છે. તેમણે કહ્યું કે, ભારતના પશ્વિમમાં, ઉત્તરમાં, પૂર્વાચલમાં અને મધ્ય ભારતમાં 600થી વધુ જાતિઓ છે. તે બધા લોકો કહે છે કે તેઓ અને અમે અલગ છીએ કારણ કે ભારત વિરોધી તાકાતોએ તેમને ઉશ્કેરવાનું કામ કર્યું છે. ગોલવલકરજીએ તેમને કહ્યું હતું કે તેઓ હિન્દુ છે, તેમના માટે દરવાજા બંધ નથી. અમે વસુદેવ કુટુમ્બકમની અવધારણા પર કામ કરીએ છીએ.
ભારતમાં રહેતા તમામ હિન્દુ છે, કારણ કે તેમના પૂર્વજો હિન્દુ હતાઃ દત્તાત્રેય
દત્તાત્રેય હોસબોલેએ કહ્યું કે, ભારત એક હિન્દુ રાષ્ટ્ર છે કારણ કે આ દેશનું નિર્માણ કરનારાઓ પણ હિન્દુ છે. કેટલાક લોકો કહે છે કે વેદ પુરાણમાં હિન્દુ નથી પરંતુ વેદ પુરાણમાં એવું પણ નથી કે તેને સ્વીકારવામાં ન આવે. આપણે સત્ય અને ઉપયોગી વાતોને સ્વીકારવી જોઈએ. તેમણે કહ્યું કે આરએસએસના સ્થાપક ડો. કે. બી. હેડગેવાર ક્યારેય આ અર્થઘટનમાં નથી પડ્યા કે હિન્દુ કોણ છે. જેઓ ભારત ભૂમિને પિતૃભૂમિ માને છે તે બધા હિન્દુ છે. જેમને આપણે હિન્દુ માનીએ છીએ, તેઓ હિન્દુ છે. તેમણે એમ પણ કહ્યું કે, ભારતમાં રહેતા તમામ લોકો હિન્દુ છે કારણ કે તેમના પૂર્વજો હિન્દુ હતા. તેમની પૂજા પદ્ધતિ અલગ-અલગ હોઈ શકે છે પરંતુ તે બધાના ડીએનએ એક જ છે.
આજે રાષ્ટ્રજીવનના કેન્દ્ર બિંદુ પર સંઘ છેઃ દત્તાત્રેય હોસબોલે
તેમણે પોતાના સંબોધનમાં કહ્યું ,કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ન તો ડાબેરી છે કે ન તો જમણેરી. સંઘ રાષ્ટ્રવાદી છે. તેથી જ તે ભારતના તમામ ધર્મો અને સંપ્રદાયોને એક માને છે. આપણા બધાના સામૂહિક પ્રયાસોથી ભારત વિશ્વ ગુરુ બનશે અને વિશ્વનું નેતૃત્વ કરશે. સંઘે દરેક દર્દને સહન કર્યું છે અને કહ્યું કે એન્જોય ધ પેન. આજે રાષ્ટ્રજીવનના કેન્દ્ર બિંદુ પર સંઘ છે. સંઘ વ્યક્તિ અને સમાજનું નિર્માણ કરે છે. સમાજના લોકોને જોડીને સમાજ માટે આગળ પણ કામ કરતું રહેશે. દત્તાત્રેયે કહ્યું હતું કે, આજે સંઘ દ્વારા એક લાખથી વધુ સેવાકીય કાર્યો કરવામાં આવી રહ્યા છે. સંઘ એક જીવન પદ્ધતિ અને કાર્ય પદ્ધતિ છે, એક જીવનશૈલી છે.