ગુજરાત સરકારે હવે બીએડ અને પીટીસીના છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓને ટેટની પરીક્ષા બેસવા દેવાની છૂટ આપી છે.
ભૂપેન્દ્ર સરકારનો મોટો શૈક્ષણિક નિર્ણય
બી.એડ, પીટીસીના વિદ્યાર્થીઓ આપી શકશે ટેટની પરીક્ષા
અત્યાર સુધી બી.એડ કે પીટીસી પાસ કર્યા બાદ જ આપી શકાતી હતી પરીક્ષા
ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકારે બી.એડ, પીટીસીના વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વનો શૈક્ષણિક નિર્ણય જાહેર કર્યો છે. શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ એવી જાહેરાત કરી કે બી.એડ, પીટીસીના છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓ પણ હવે ટેટની પરીક્ષા આપી શકશે. અત્યાર સુધી તો બી.એડ કે પીટીસી પાસ કર્યા બાદ જ વિદ્યાર્થીઓ આવી પરીક્ષા આપી શકતા હતા પરંતુ હવે સરકારે નિયમમાં ફેરફાર કર્યો છે.
શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીની વધુ એક જાહેરાત
શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ આ મુજબની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે બીએડ અને પીટીસીના છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓ
ટેટ-1 અને ટેટ -2ની પરીક્ષા આપી શકશે.
કેબિનેટની બેઠકમાં 3 મોટા નિર્ણય
આજે કેબિનેટની બેઠકમાં યુનિફોર્મ સિવિલ કોડ, કરાઈના કાર્યક્રમમાં પોલીસ ભરતીની જાહેરાત અને એન્જિનિયરિંગ અને મેડિકલ સહિતના પ્રોફેશનલ કોર્સિસને ગુજરાતીમાં ભણતર એવા ત્રણ મોટા નિર્ણય લેવાયા હતા. મંત્રી જીતુ વાઘાણીએ 2020ની નવી શિક્ષણ નીતિ અંતર્ગત ગુજરાતીમાં અભ્યાસક્રમો તૈયાર કરવા સમિતિ રચી છે.
આવતા વર્ષે 300 PSI અને 9 હજાર LRDની ભરતી
ભૂપેન્દ્ર સરકારે આવતા વર્ષે રાજ્યમાં 300 PSI અને 9 હજાર LRDની ભરતી કરવાની પણ જાહેરાત કરી છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કરાઈ પોલીસ એકેડમી ખાતે આયોજીત એક કાર્યક્રમમાં મોટી જાહેરાત કરી છે.
શું છે ટેટની પરીક્ષા
સરકારી અને ખાનગી સ્કૂલોમાં શિક્ષકોની ભરતી માટે ઉમેદવારોની પાત્રતા નક્કી કરવા માટે દર વર્ષે સરકાર દ્વારા અથવા તો સક્ષમ સત્તામંડળ દ્વારા ટીચર એલિજિબિલીટી ટેસ્ટ (ટેટ)ની પરીક્ષા લેવાતી હોય છે.