મહેસાણાઃ સુંદર અને શાંત હિલ સ્ટેશન તરીકે તારંગા હીલ ફેમસ છે. આ સ્થળ મહેસાણાથી લગભગ 70 કિલોમીટર દૂર આવેલું છે. તારંગાની ટેકરીની ઉંચાઈ આશરે 365.76 ફૂટ જેટલી છે. તારંગા જૈનધર્મ માટે આસ્થાનું કેન્દ્ર છે. સાથે સાથે રમણીય પર્યટન સ્થળ પણ છે. જૈન ધર્મની આસ્થાના કેન્દ્ર સમા આ સ્થળે પ્રકૃતિના શોખીનો માટે અહીં માણવા માટે ઘણુ બધુ છે.
તારંગાની ટેકરી પર્વતોની વચ્ચે અને શહેરી વિસ્તારથી દૂર આવેલી છે. અહીંનું વાતવરણ ખુબ જ શાંત અને કુદરતી છે. ચારે તરફ લીલોતરીને કારણે જાણે પર્વતોની વચ્ચે કુદરતના ખોળામાં બેઠા હોઈએ તેવો અહેસાસ થાય છે.
તારંગાના ડુંગરોમાં આવેલું જૈન મંદિર 1121માં સોલંકી વંશના રાજા કુમારપાલે બનાવ્યું હતું. આ મંદિર તેમના ગુરૂ આચાર્ય હેમચંદ્રાચાર્યના કહેવાથી બનાવડાવ્યું હતું. અહીં કમ્પાઉંડની અંદર નાના 14 મંદિરો આવેલા છે. જેમાંથી પાંચ દીગમ્બરના મુખ્ય મંદિરો છે. દીગમ્બર જૈન અહીંની ત્રણ ઉંચી ટેકરીઓ પર વસવાટ કરે છે.
તારંગા એક સિધ્ધ ક્ષેત્ર પણ છે તારંગા હિલ સ્ટેશન પર શ્વેતાંબર અને દિગંબરના જૈન દેરાસર આવેલ છે. આ પર્વત પરથી બૌધ્ધ દેવી તારાની મુર્તિ મળી આવી હતી. તેથી આ સ્થનું નામ તારંગા પડ્યું હતું. અહીં અસંખ્ય યાત્રાળુઓ વર્ષ દરમિયાન મુલાકાતે આવે છે.