રીંછ ગણતરી કાર્યક્રમને પગલે સાબરકાંઠાનું પોળો ફોરેસ્ટમાં આગામી તા. 13થી 15 જૂન બંધ રાખવા નિર્ણય કરવામાં આવ્યો છે.
પોળો ફોરેસ્ટ 13થી 15 જૂન બંધ રહેશે !
રીંછની ગણતરી કાર્યક્રમના પગલે રહેશે બંધ
આદેશ ભંગ કરનાર સામે થશે કાર્યવાહી
ઉત્તર ગુજરાતના મીની કાશ્મીર ગણાતાં સાબરકાંઠાના પ્રખ્યાત પ્રવાસન પોળો ફોરેસ્ટ પર આદેશ જારી કરી એન્ટ્રી પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. રાજ્યવ્યાપી રીંછ ગણતરી કાર્યક્રમના ભાગરૂપે આ નિર્ણય કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. આગામી 13 જૂનથી 15 જૂન સુધી પ્રવાસીઓની અવરજવર પર પ્રતિબંધ ફરમાવી દેવાયો છે. પોળો ફોરેસ્ટ નજીકના સ્થાનિક લોકો સિવાય બહારના તમામ લોકો અવરજવર કરી શકશે નહી. અને આ આદેશના ભંગ કરનાર સામે સબંધિત વિભાગ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
રાજ્યવ્યાપી રીંછ ગણતરીને લઇને મુકાયો પ્રતિબંધ
મહત્વનું છે કે, દર 6 વર્ષે રાજ્યવ્યાપી રીંછની ગણતરી કરવામાં આવતી હોય છે જેના ભાગરૂપે ચાલુ વર્ષે રીંછની વસ્તી ગણતરી કરાશે આ કારણે જ પોળો ફોરેસ્ટમાં એન્ટ્રી પર જિલ્લા કલેકટર દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જેથી પોળો ફોરેસ્ટ 13 જૂનથી 15 જૂન સુધી પ્રવાસીઓ માંટે બંધ રાખવામાં આવશે. અત્રે નોંધનિય છે કે પોળો ફોરેસ્ટમાં ચોમાસાની સીઝનમાં ફોરેસ્ટનો મનમોહક નજારો જોવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતાં હોય છે.
પોળો ફોરેસ્ટમાં પ્લાસ્ટિક પર પ્રતિબંધ
સાબરાકાંઠાના પોળો ફોરેસ્ટમાં કુદરતી નજારાને જોવા લોકો દૂર દૂરથી પહોંચે છે. ત્યારે અહીં આવતા લોકો સ્થળની મુલાકાત બાદ પાછળ કચરો મુકતા જાય છે. ત્યારે આ કચરામાં પ્લાસ્ટિકના કચરાનું પ્રમાણ વધુ છે. તેવામાં પ્લાસ્ટિક મુક્ત કરવા માટે ફોરેસ્ટમાં પ્લાસ્ટિકના ઉપયોગ પર પ્રતિબંધ મુકવામાં આવે છે. ખાસ કરીને ચોમાસાની સિઝનમાં મોટી સંખ્યામાં સેહલાણીઓ પોળો ફોરેસ્ટની પ્રાકૃતિક સુંદરતા માણવા પિકનિક કરવા માટે આવતા હોય છે. પ્રવાસીઓ માટે પોળોમાં એન્ટ્રી વિના મૂલ્યે છે. પ્રવાસીઓ મોટી સંખ્યામાં આવતા હોવાથી પ્લાસ્ટિકનો કચરો વધુ માત્રમાં એકઠો થતો હતો જેને કારણે જંગલના વાતાવરણને સ્વચ્છ રાખવા માટે અગાઉ પ્રશાસને પ્લાસ્ટિક પર પ્રતિબંધ મુક્યો હતો.