મોટાભાગના લોકો કોઇ પણ નાની બીમારી હોય જેમ કે માથાનો દુખોવો હાથ-પગનો દુખાવો તો તરત કોઇ પણ ગોળી ગળી લેતા હોય છે. એમાં મોટા ભાગે ખાસ પેનકિલર લેવાય છે.
જો તમે આવું કરતાં હોવ તો સચેત થઈ જાઓ. આ દવાઓનું વધારે પડતાં સેવન હાર્ટએટેક અને સ્ટ્રોકથી થતાં મૃત્યુના જોખમમાં 50 ટકાનો વધારો કરે છે. બ્રિટિશ મેડિકલ જર્નલે તાજેતરમાં પ્રકાશિત કરેલા એક અભ્યાસમાં આવી ચેતવણી આપી છે.
ડેનમાર્કમાં આવેલી આરહુસ યુનિવર્સિટી હોસ્પિટલમાં સંશોધકોએ 63 લાખ લોકો પર પેરાસિટામોલ આઈબ્રુફેન અને ડાઈક્લોફેનેક સહિતની બીજી દર્દશામક દવાઓની આડઅસરની નોંધ કરી. જેમાં જાણવા મળ્યું કે સ્ટીરોઈડ રહિત આ દવાઓ શરીરમાંથી પાણી અને સોડિયમને કાઢવાની કિડનીની ઝડપને ઘટાડે છે.
આનાથી લોહીનો પ્રવાહ ઝડપી બને છે. સાથે જ અંગોમાં લોહી પહોંચાડવામાં વધારે દબાણ આવવાને લીધે ધમનીઓ ફાટવાનો હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમ રહે છે.
આ ઉપરાંત અભ્યાસમાં જાણવા મળ્યું કે દર્દશામક દવાઓ બ્લડ પ્રેશર ઘટાડતી દવાઓને બેઅસર કરે છે. મુખ્ય સંશોધનકર્તા મૉર્ટન શિમિતનું કહેવું છે કે આવી દવાઓ હૃદયના ધબકારાને અનિયંત્રિત કરે છે. પરિણામે વ્યક્તિને બેચેની ગભરામણ છાતીમાં દુખાવો અને પરસેવાની તકલીફ થવા લાગે છે.
તેમણે તમામ દેશોની સરકાર સમક્ષ એવો સખત કાયદો બનાવવાની માગણી કરી છે કે ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના દુકાનોમાં પેનકિલરના વેચાણ પર પ્રતિબંધ મુકવામાં આવે.