ખેડૂતો જરુર પડે તો ઊભો પાક પણ સળગાવી દેવા તૈયાર રહે-ટિકૈત
સરકારના મનમાં એવી છાપ ન પડવી જોઈએ કે ખેડૂતો ઘેર જતા રહેશે.
હરિયાણાના હિસારમાં ખેડૂતો સાથેની બેઠકમાં ખેડૂત નેતા રાકેશ ટિકૈતે કહ્યું કે છેલ્લા 3 મહિનાથી ખેડૂતો દિલ્હીમાં ધામા નાખીને પડ્યાં છે. સરકારને એમ હતું કે ખેડૂતો 2 મહિના ઘરભેગા થઈ જશે. પરંતુ અમે ઘેર જવાના નથી. અમે અમારા પાકની લણણી કરીને કોલકાતા ભણી જતા રહીશું. કોલકાતા જવા માટે એક મહિના સુધી ઘેરથી દૂર રહેવા તૈયાર રહો.
ટિકૈતે ખેડૂતોને જરુર પડી તો તેમનો પાક સળગાવી દેવા પણ તૈયાર રહેવાનું જણાવ્યું હતું. તેમણે કહ્યું કે સરકારને એમ ન લાગવું જોઈએ કે કૃષિ કાયદા સામેનું આંદોલન પુરુ થઈ જશે અને ખેડૂતો પાકની લણણી કરવા માટે પોતપોતાના ગામ જતા રહેશે.
ઊભો પાક પણ સળગાવી દેવો પડે તો તૈયારી રાખજો.
તેમણે કહ્યું કે જો તમારે તમારો ઊભો પાક પણ સળગાવી દેવો પડે તો પણ તેને માટે તૈયારી રાખજો. સરકારના મનમાં એવી છાપ ન પડવી જોઈએ કે ખેડૂતો ઘેર જતા રહેશે. આપણે આપણો પાક પણ લણીશું અને સાથે સાથે આંદોલનને પણ ઉગ્ર બનાવી રાખીશું. કૃષિ કાયદા પાછા ન ખેંચાય ત્યાં સુધી કોઈ ઘરવાપસી નહીં થાય.
ટિકૈતે ખેડૂતોને જણાવ્યું કે તમારા ટ્રેક્ટરને ડીઝલ પૂરાવીને તૈયાર રાખજો કારણ કે ગમે ત્યારે દિલ્હી ભણી આગેકૂચ કરવી પડશે. આગેકૂચ કરવા માટે તમને ગમે ત્યારે જાણી કરી શકાય છે. પરંતુ તેનો નિર્ણય ખેડૂત સંગઠનોની કમિટી કરશે.
બંગાળ, કર્ણાટક, તમિલનાડુ અને ગુજરાતમાં આંદોલનને પહોંચાડવાનું છે-ટિકૈત
ટિકૈતે કહ્યું કે હરિયાણા બાદ બંગાળ, કર્ણાટક, તમિલનાડુ અને ગુજરાતમાં પણ ખેડૂત આંદોલનને પહોંચાડવું છે.