નવરાત્રીના દિવસોમાં મા દુર્ગાના નવ રૂપોની પૂજા કરવામાં આવે છે. દરેક દેવીનું અલગ સ્વરૂપ હોય છે અને અલગ અલગ મંત્ર અને વિધિઓથી એમની આરાધના કરવામાં આવે છે.
નોરતામાં નવ દેવીઓની આરાધનાને મા અંબાની સંપૂર્ણ આરાધના માનવામાં આવે છે. પંરતુ ઘણીવાર જાણે અજાણે એવી ભૂલો કરી બેસીએ છીએ જે ના થવી જોઈએ. આવો જાણીએ માતાની પૂજામાં કઇ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.
- નવરાત્રિમાં ચામડાના જૂતાં ચપ્પલ અને બેલ્ટ કે પર્સ જેવી વસ્તુઓ ના વાપરવી જોઈએ.
- જો તમે ઘરમાં અખંડ જ્યોત રાખી હોય તો તમારે નવ દિવસ સુધી ઘરની બહાર ના જવું જોઈએ.
- નવરાત્રિના નવ દિવસ વાળ કે નખ ના કાપવા જોઈએ.
- શક્ય હોય તો શેવિંગ કરવાનું પણ ટાળવું જોઈએ.
- નવરાત્રિમાં ડુંગળી લસણ અને માંસાહારનો ત્યાગ કરવો જોઈએ.
- નવરાત્રિમાં દિવસે ના સૂવું જોઈએ. દારૂ અને તંબાકુનું સેવન ના કરવું જોઈએ.
- નવરાત્રિ પવિત્ર સમય હોવાથી આ દરમિયાન સહવાસનો ત્યાગ કરીને બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ.
- જો તમે વ્રત કર્યું હોય તો તમારે વિપરિત સંજોગોને બાદ કરતાં હૉસ્પિટલ કે સ્મશાનમાં ના જવું જોઈએ.
- જે ઘરમાં સૂતક લાગેલું હોય ત્યાં પણ તમારે ના જવું જોઈએ.
- વ્રતના નવ દિવસ કાળા કપડાં ના પહેરવા જોઈએ.
- નવ દિવસ સુધી લીંબુ પણ કાપવું નહીં.
- જો તમે વ્રત રાખ્યું હોય તો તમારે નવ દિવસ સુધી અનાજ અને મીઠું ના ખાવું જોઈએ.
- વ્રતમાં ગુસ્સે ના થશો કે ખોટું પણ ના બોલશો.
- આ દરમિયાન બાળકોનું મુંડન ના કરાવવું જોઈએ.
નવરાત્રિમાં માતાજીની સ્તુતિ ભજન કિર્તન અને સ્મરણથી જીવનમાં શુભનો પ્રભાવ પડે છે. નવરાત્રિ શુભતા અને શુદ્ધતાનું મહાપર્વ છે. આ દરમિયાન તમે મન વચન અને કર્મથી માતાજીની ભક્તિ કરશો તેટલું જ લૌકિક અને પરલૌકિક સુખ પ્રાપ્ત થશે.
જો તમે વ્રત ના રાખ્યું હોય તો પણ શુદ્ધતાનું ધ્યાન રાખો જેથી શુભતા અને શુભત્વનું આગમન થઇ શકે. સારા કર્મનું ફળ હંમેશા સારું જ હોય છે તેથી જીવનમાં શુભ કર્મોને પ્રાથમિકતા આપવી જોઈએ.