ચાંદલોડિયાના જ્વેલર્સે કારીગરને રૂ.૧૩ લાખની કિંમતનું સોનું દાગીના બનાવવા માટે આપ્યું હતું, જે સોનું લઇ કારીગર ફરાર થઈ જતાં સનસનાટી મચી ગઈ છે.
૧૩ લાખની કિંમતનું સોનું દાગીના બનાવવા માટે આપ્યું હતું
સોનું લઇ કારીગર ફરાર થઈ જતાં સનસનાટી મચી ગઈ
વેપારીએ કાલુપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી
સાણંદ હાઇવે પર આવેલ સફળ આમ્રકુંજમાં રહેતા અને ચાંદલોડિયાબ્રિજ પાસેના આલ્ફા શોપિંગ સેન્ટરમાં લાભ લક્ષ્મી નામે સોનાના દાગીનાના મેન્યુફેક્ચરિંગ અને ટ્રેડિંગનો વેપાર કરતા મયંક શાહે કાલુપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદમાં જણાવ્યા મુજબ મયંકભાઇ અવારનવાર રતનપોળ ધંધા અર્થે જતા હોય છે. મયંકભાઇના માસીના દીકરા ચિરાગે સોનાના દાગીના બનાવનાર કારીગર તોહીન મલિક, જે જમાલપુર રહે છે તેની સાથે તેમનો પરિચય કરાવ્યો હતો.
ત્યારબાદ મયંકભાઈ તોહીનને દાગીના બનાવવાનું કામ આપવા લાગ્યા હતા અને તોહીન અવારનવાર ઓફિસ તથા અન્ય જગ્યાએથી સોનું લઈ જતો તથા દાગીના બનાવી પરત પણ આપી જતો હતો.
તા. ૯ નવેમ્બરના રોજ મયંકભાઈની ઓફિસે આવીને તોહીને મને સોનું આપો, હું દાગીના બનાવીને તમારી પાસે જમા કરવું ત્યારે મારી મજૂરીના પૈસા આપજો તેમ કહીને વિશ્વાસ અપાવ્યો હતો. ત્યારબાદ મયંકભાઈએ તોહીનને ૩૩૩.પ૪૬ ગ્રામ સોનું, જેની કિંમત ૧૩ લાખ રૂપિયા થાય છે તે દાગીના બનાવવા માટે આપ્યું હતું.
તોહીનને આપેલ સોનું કે દાગીના તેણે જમા નહિ કરાવતાં અને મયંકભાઈએ ફોન કરતાં તેનો ફોન સતત સ્વિચ ઓફ આવતો હતો, જેથી તેમણે તેના ઘરે તપાસ કરતાં તે મળી આવેલ નહીં, જેથી આ તોહીન મયંકભાઇનો વિશ્વાસ કેળવી ૧૩ લાખનું સોનું લઇ ફરાર થઈ ગયો હતો. મયંકભાઇએ કાલુપુર પોલીસ સ્ટેશનમાં તોહીન વિરુદ્ધમાં ફરિયાદ કરી છે. પોલીસે હાલ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.