ગુજરાતમાં ધીમા પગલે ફરી આવી રહ્યો છે કોરોના વાયરસ.અત્યારે ચેતીને નહિ ચાલો તો નવરાત્રી -દીપાવલી બગડી શકે છે. ડેલ્ટા વેરીયંટ પણ સક્રિય છે.સુરતમાં સ્થિતિ વિકટ
ગુજરાતમાં વધતું કોરોના સંક્રમણ
નવરાત્રી-દીપાવલીને લઈને ઉચાટ
સુરતમાં વધી રહેલા સંક્રમણ કેસ
રાજ્યમાં કોરોના માથું ઊંચકી રહ્યો છે.નાગરીકો થોડા અજાણ અને વધારે લાપરવાહ છે.ગુજરાત સાક્ષી છે કે, જન્માસ્ટમીથી માંડીને અત્યાર સુધીમાં દેવ દર્શન અને ધાર્મિક સ્થળો ઉપરાંત પ્રવાસન ક્ષેત્રોમાં જે ભીડ જોવા મળી છે તે નિશ્ચિત રીતે કોરોના માટે ગુજરાત ફરીથી લાલ જાજમ બિછાવી રહ્યાનો અહેસાસ થાય છે.
ચૂંટણી દરમિયાન કોઈ પાલન નહિ
રવિવારે જ ગાંધીનગરમાં સંપન્ન થયેલી મહાનગર પાલિકાની ચુંટણી દરમિયાન નેતાઓની રેલી ઉપરાંત પ્રચાર દરમિયાન કોઈએ, ક્યાંય સોશિયલ ડીસ્ટન્સ કે માસ્કની ગંભીરતા સમજી નથી અને કેન્દ્ર/રાજ્ય સરકારની ગાઇડ લાઈનનું પાલન સુદ્ધા નથી કર્યું. બે દિવસ પછી નવરાત્રીના તહેવારો શરુ થયા છે.સાથે ગુજરાતમાં બેવડી ઋતુનો પણ આરંભ થશે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે બે દિવસ બાદ ચોમાસું વિધિવત વિદાય લેશે. પણ સવારે હળવી ઠંડી અને બપોરે પ્રખર ગરમીનો અનુભવ થશે. આ સાથે જ પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો હજુ કાબુમાં નથી.પરિણામે કોરોના સંક્રમણ વધે તો નવાઈ નથીં.
નવરાત્રીની ભીડ પડશે ભારે -એક ચિંતા
ગુજરાતમાં અત્યારે ફરી એકવાર કોરોના સંક્રમણ દક્ષિણ ગુજરાતના સુરતથી બિલ્લીપગે આગળ ધપી રહ્યું હોય તેવા અણસાર છે. કોરોના જાણે વિદાય લઇ ગયો હોય તેમ બજારોમાં ભીડ ઉમટી પડી છે.ત્યારે, વ્યાપારીઓ પણ ગ્રાહક ભાગી નાં જાય તેનું ધ્યાન રાખવામાં સોશિયલ ડીસ્ટન્સ સહિતની નિર્દેશિકા ભૂલી ગયા છે..નવરાત્રી દરમિયાન અંબાજી,સહિતના મંદિરો ભાવિકો માટે ખુલ્લા રહેશે.પણ મંદિર વ્યવસ્થાપન પણ હજારોની સંખ્યામાં આવતા દર્શનાર્થીઓ માટે તમામ ગાઈડ લાઈનનું પાલન કેવી રીતે કરાવી શકે.? ભાવિકો એ પોતે જ વ્યક્તિગત જવાબદારી સમજી ભીડ-ભાડમાં ણ જઈને કોરોના સંક્રમણ વાહક બનવાથી દૂર રહેવું જોઈએ. નવરાત્રી બાદ દીપાવલીના તહેવારો આવે છે.ગુજરાતની જનતાએ માત્ર જોયું જ નથી અનુભવ્યું પણ છે કે, ગત વર્ષે દીપાવલીના તહેવારો દરમિયાન જે રીતે નાગરીકો પ્રવાસન ક્ષેત્રમાં ઉમટી પડ્યા હતા તેના પરિણામે,કોરોના સંક્રમણની બીજી અને કાળમુખી લહેર ફરી વળી હતી.દીપાવલીના બે-ત્રણ મહિના બાદ જ સ્થાનિક સ્વરાજની ચૂંટણીવેળા તો રીતસર દાટ વળી ગયો અને રાજકીય પક્ષોની ભીડ અને પાર્ટીના સમર્થકો જાણે,કોરોનાને હાથ રૂમાલ સમજતા હોય તેમ વર્તન કરતા જોવા મળ્યા .જેના પરિણામ ગુજરાતે વહાલા -સ્વજનો,પરિચિતો,સંબંધી ગુમાવી પોતાની જાતને સાંત્વના આપતા રહ્યા અને બીજાને કોસતા રહ્યા.
સુરતમાં વધી રહેલું સંક્રમણ
ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી કોરોના સંક્રમણ વધ્યું છે,નાગરીકો મોત કેટલા થયા છે તેના પર સંક્રમણનો આધાર રાખી રહ્યા છે જે ઉચિત નથી.હવે ડબલ સીઝનમાં જરા પણ લાપરવાહી તમારા પરિવાર માટે મોટી આફત નોતરી શકે છે.રાજ્યમાં ૪૨ દિવસ બાદ સૌથી વધુ એક્ટીવ કેસ છે છેલ્લે 27 સપ્ટેમ્બરે 142 કેસ સામે આવ્યા હતા.અત્યારે રાજ્યામાં લગભગ 180 કેસ એક્ટીવ છે.માત્ર એક જ સપ્તાહમાં રાજ્યમાં 30 ટકા કેસ વધ્યાં છે. દિલ્હીની ઓલ ઇન્ડિયા મેડીકલ સાયન્સ ( એમ્સ )ના ડિરેક્ટર ડો.ગુલેરીયાએ પણ કહ્યું છે કે, ડેલ્ટા વેરીયંટ ખતરનાક રૂપ ધારણ કરી શકે છે.આ એ સમય છે જ્યારે સંયમ વર્તવાનો છે.
દક્ષિણમાં સંક્રમણની દસ્તક -શાળાઓમાં ટેસ્ટીંગ શરુ
આજની તારીખે સુરતમાં કોરોના સંક્રમણના 72 કેસ એક્ટીવ છે અને અંદાજે 600 થી વધુ લોકો હોમ કોરનટાઈન છે.સુરતમાં તો એક આખી સોસાયટીમાં સંક્રમણ ફેલાતા સોંપો પડી ગયો છે. સુરત જિલ્લામાં 3,વલસાડમાં 3, નવસારીમાં 1 કેસ સામે આવ્યા છે. શહેર અને જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસની કુલ સંખ્યા 143771 થઈ ગઈ છે. સાથે જ શહેર અને જિલ્લામાં કોરોના રસીકરણ પણ મંદ પડ્યાં બાદ આજે નવા ડોઝ મળતાં 230 સેન્ટર પર વેક્સિનેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે.કોરોના સંક્રમણ ધીમી ગતિએ વધતાં શાળાઓમાં ટેસ્ટ કરવામાં આવ્યાં છે
સુરત માં હાલ 69 માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર થયા છે ત્યારે બે દિવસ પછી શરુ થતા નવરાત્રી તહેવારને લઈને કોરોનાના વધતા કેસો મહાનગર પાલિકા માટે પડકાર ઉભો થયો છે.જન્માષ્ટમી, ગણેશ ઉત્સવ અને હવે સૌથી લાંબો ચાલનાર તહેવાર નવરાત્રિ આવી રહી છે. નવરાત્રિ દરમિયાન લોકો મોટી સંખ્યામાં એકત્રિત થતા હોય છે. શેરી મહોલ્લાની અંદર નવરાત્રિની ઉજવણીની છૂટ આપવાની સાથે જ માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનની સંખ્યામાં ધરખમ વધારો થતો જોવા મળી રહ્યો છે. સુરત કોર્પોરેશન દ્વારા 69 માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરાયા છે. એક અંદાજ મુજબ 6426 લોકો માઈક્રો કન્ટેન્ટ ઝોન હેઠળ સમાવિષ્ઠ છે.