ગુજરાતમાં તહેવારો દરમિયાન જો સંયમ નહિ જળવાય તો ત્રીજી લહેર નક્કી છે.આ વચ્ચે અમદાવાદ મેડીકલ એસો.ની પોતાની તૈયારીઓ આરંભી દીધી છે.
કેરળ-મહારાષ્ટ્રમાં વધતા કેસ ચિંતાજનક
ડેલ્ટા અને ડેલ્ટા પ્લસના કારણે કેસ વધ્યાં: ડો.સાહિલ શાહ
સંભવત;ત્રીજી લહેરને નાથવા અમદાવાદ મેડીકલ એસો.ની તૈયારીઓ
કોરોના સંક્રમણની પહેલી લહેર વખતે દેશનું રોલ મોડલ બનેલા કેરળમાં કોરોના સંક્રમણ ચિંતાજનક રીતે વધ્યું છે. કેરળમાં છેલ્લા એક સપ્તાહમાં અંદાજે 1 લાખ 30 હજાર જેટલા નવા કેસ સામે આવ્યા છે.તો મહારાષ્ટ્રમાં પણ વધતા કેસ ચિંતાનું કારણ બન્યા છે. આ વચ્ચે ,અમદાવાદ મેડીકલ એસોસીએશને પણ સંભવત; ત્રીજી લહેરના સંક્રમણને નાથવા આગોતરી તૈયારીઓ શરુ કરી દીધી છે.
શું કહ્યું ડો. સાહિલ શાહે ?
અમદાવાદ મેડીકલ એસો.નાં જોઈન્ટ સેક્રેટરી ડો.સાહિલ શાહે ચિંતિત સૂરે કહ્યું છે કે, તહેવારો પર ખાસ ધ્યાન આપવું જરૂરી છે. અમે રાજ્ય સરકારને આ પહેલા પણ ચેતવણી આપી હતી અને હજુ પણ કહી રહ્યા છીએ કે,સંયમ પાલન થવું જરૂરી છે. કેરળ અને મહારાષ્ટ્રમાં વધેલા કેસનો પ્રકાર કયો છે તેનો અભ્યાસ કરી રહ્યા છીએ.ડો .શાહનાં મતાનુસાર,ડેલ્ટા અને ડેલ્ટા પ્લસના કારણે સંક્રમણ વધતું ચાલ્યું છે.
તહેવારોમાં ઉમટી પડી ભીડ
જો કે, અમદાવાદ મેડીકલ એસો.એ વિવિધ રાજ્યમાં વધતા કોરોના સંક્રમણ અને તેના પ્રકાર સાથે ગુજરાતમાં સંક્રમણની સંભાવના અંગેના કયાસ અને તે માટે જરૂરી તૈયારીઓ આરંભી દીધી છે. જન્માષ્ટમીના તહેવારો ઉપરાંત ગણપતિનાં તહેવારો દરમિયાન,નાગરીકોએ પણ વિશેષ કાળજી રાખવા સુચવાયું છે. શ્રાવણ મહિનામાં અને ખાસ કરીને સંક્રમણ ઘટતાં નાગરીકો ધાર્મિક પર્યટન સ્થળો પર ઉમટી પડ્યાં છે. તે પણ હકીકત છે.
તૈયાર છે AMA
અમદાવાદ મેડીકલ એસોસીએશને થોડા સમય પહેલા જ રાજ્ય સરકારને ચેતવણીના સ્વરમાં વધુ છૂટછાટ ના આપવાની બાબત પર ભાર મુક્યો હતો.પર્યટન સ્થળ અને ધાર્મિક જગ્યાઓ પર ભીડ ના થાય,ઉપરાંત સોશિયલ ડીસ્ટન્સીંગનું પાલન થાય તેવી કાળજી લેવા સૂચવ્યું હતું. ડો.સાહિલ શાહે કહ્યું કે, અમદાવાદ મેડીકલ એસો.ની તૈયારીઓ ગમે તેવી સ્થિતિને નીપટવા માટે પુરતી છે.