ટીમ ઇન્ડિયામાં સ્થાન મેળવવા માટે સપનાં જોઈ રહેલા યુવા ક્રિકેટરો માટે એક સારા સમાચાર છે. બીસીસીઆઇએ ખેલાડીઓને અપાતા વાર્ષિક કરારની જોગવાઈમાં કેટલાક ફેરફાર કર્યા છે.
ભારત તરફથી ઓછામાં ઓછી દસ ટી-૧૦ મેચ રમેલા કોઈ પણ ખેલાડી હવે બીસીસીઆઇનો કોન્ટ્રાક્ટ હાંસલ કરી શકશે. એવું પહેલી વાર બનશે કે જ્યારે બોર્ડે વાર્ષિક કરાર આપવા માટે ટી-૨૦ મેચને આધાર બનાવ્યો છે. અત્યાર સુધી ફક્ત વન ડે અને ટેસ્ટ રમેલા ખેલાડીઓને જ વાર્ષિક કરાર આપવામાં આવતો હતો.
ઉલ્લેખનીય છે કે બીસીસીઆઇ ચાર કેટેગરીમાં ખેલાડીઓને વાર્ષિક કરાર આપે છે. આ અંતર્ગત એ-પ્લસ વર્ગમાં આવનારા ખેલાડીઓને વાર્ષિક સાત કરોડ, એ-વર્ગના ખેલાડીને પાંચ કરોડ, બી-વર્ગના ખેલાડીને ત્રણ કરોડ અને સી-વર્ગમાં આવનારા ખેલાડીને વર્ષના એક કરોડ રૂપિયાની ચુકવણી બીસીસીઆઇ કરે છે.
આ અગાઉ સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત વહીવટી કમિટીએ કેટલીક ટી-૨૦ મેચ રમનારા ખેલાડીઓને કરાર આપવાની વાતને મહત્ત્વ આપ્યું નહોતું, સાથે જ બીસીસીઆઇ એવી નીતિ અપનાવી રહી હતી કે સિઝનમાં કોઈ પણ આંતરરાષ્ટ્રીય મેચ રમનારો ખેલાડી બીસીસીઆઇની વાર્ષિક કરાર સિસ્ટમમાં આવી જશે, જોકે ત્યાર બાદ પણ નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો.
સીઓએ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો કે ઓછામાં ઓછી ત્રણ ટેસ્ટ મેચ અને સાત વન ડે મેચ રમનારો ખેલાડી વાર્ષિક કરાર મેળવવા પાત્ર રહેશે. દિલચસ્પ વાત એ છે કે ગત સિઝનમાં એક અપવાદ પણ જોવા મળ્યો હતો, જ્યારે પસંદગી સમિિતએ વોશિંગ્ટન સુંદરને કરાર આપ્યો હતો. પસંદગીકારોને લાગ્યું હતું કે ટી-૨૦ ફોર્મેટમાં પ્રભાવશાળી પ્રદર્શનના કારણે વોશિંગ્ટન સુંદરને કોન્ટ્રાક્ટ આપવાની જરૂર છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર બીસીસીઆઇએ જૂના નિયમોમાં ફેરફાર કરીને કેટલાક નવા નિયમો બનાવવાનો નિર્ણય કર્યો છે. આ અંતર્ગત જે ખેલાડી વર્ષમાં ઓછામાં ઓછી દસ ટી-૨૦ મેચ રમે તો તેને બોર્ડનો વાર્ષિક કરાર મળી શકે છે. ખેલાડીઓ દ્વારા સાઇન કરવામાં આવેલા કરારમાં આ શરત સામેલ હતી. જો કોઈ નિપુણ ટી-૨૦ ખેલાડી હોય તો તેને ફક્ત એ આધાર પર કરારથી વંચિત ના રાખી શકાય કે તેની નિપુણતા ક્રિકેટના સૌથી નાના ફોર્મેટમાં છે.