ક્રિકેટર રિદ્ધિમાન સાહાને ધમકી આપવાનું ક્રિકેટ પત્રકાર બોરિયા મજુમદારને ભારે પડ્યું છે. બીસીસીઆઈએ બે વર્ષનો પ્રતિબંધ મૂકી દીધો છે.
ક્રિકેટ પત્રકાર બોરિયા મજુમદારની સામે BCCIની કાર્યવાહી
બોરિયા મજુમદાર પર મૂક્યો બે વર્ષનો પ્રતિબંધ
મજુમદાર ક્રિકેટર રિદ્ધિમાન સાહાને ધમકી આપી હતી
સ્પોર્ટસ જર્નાલિસ્ટ બોરિયા મજુમદાર પર બીસીસીઆઇએ બે વર્ષનો પ્રતિબંધ મૂકી દીધો છે. ભારતના સિનિયર વિકેટકિપર અને સનરાઈઝર્સ હૈદરાબાદના ઓપનર રિદ્ધિમાન સાહાને ડરાવવા-ધમકાવવા બદલ બીસીસીઆઈએ મજુમદાર પર બે વર્ષનો કડક પ્રતિબંધ મૂકી દીધો છે.
બોરિયા મજુમદારને હવે આ લાભ નહીં મળે
બીસીસીઆઇએ આ અંગે જારી કરેલી એક યાદીમાં જણાવ્યા અનુસાર બોરિયા મજુમદાર આગામી બે વર્ષ સુધી ભારતમાં યોજાનારી કોઈ પણ ક્રિકેટ મેચ (ડોમેસ્ટીક અને ઈન્ટરનેશનલ)નું કવરેજ નહીં કરી શકે. મજુમદાર બે વર્ષ માટે મીડિયાની માન્યતા માટે હકદાર રહેશે નહીં. આ સમય દરમિયાન તે બે વર્ષ સુધી ભારતના રજિસ્ટર્ડ ખેલાડીઓનો ઇન્ટરવ્યૂ નહીં લઇ શકે. આ સિવાય તે બીસીસીઆઇ અને બીસીસીઆઇના સભ્ય સંગઠનોની કોઇ પણ સુવિધાનો લાભ લઇ શકશે નહીં.
BCCI issues order to ban journalist Boria Majumdar for two years for intimidating cricketer Wriddhiman Saha. pic.twitter.com/3NHDr02ULY
જાણો શું છે મામલો
વિકેટકિપર અને સનરાઈઝર્સ હૈદરાબાદના ઓપનર રિદ્ધિમાન સાહાએ ગયા મહિને સોશિયલ મીડિયા પર એક સંદેશના સ્ક્રીનશોટ શેર કર્યા હતા. સાહાએ જણાવ્યું હતું કે એક પત્રકાર તેમને ડરાવી ધમકાવી રહ્યો છે. સાહાના આ ખુલાસા બાદ ક્રિકેટ જગતમાં ખળભળાટ મચ્યો હતો. આ પછી સાહાને પૂર્વ ઓપનર વિરેન્દ્ર સહેવાગ અને ભારતના પૂર્વ મુખ્ય કોચ રવિ શાસ્ત્રી સહિત ઘણા ખેલાડીઓએ બધાની સામે પત્રકારનું નામ જાહેર કરવા માટે કહ્યું હતું. આ મામલે રવિ શાસ્ત્રીએ બીસીસીઆઈ પાસે કડક કાર્યવાહીની માંગ કરી હતી.આ પછી બીસીસીઆઈએ સાહાનો સંપર્ક સાધ્યો હતો અને તેને કોણ ધમકાવી રહ્યું છે તેનું નામ જણાવવાનું કહ્યું હતું. સાહાએ નામ જાહેર કરી દેતા બીસીસીઆએ આ કેસની તપાસ માટે 3 સભ્યોની સમિતીની રચના કરી હતી. આખરે તપાસને અંતે દોષી ઠરતા બોરિયા મજુમદાર પર બે વર્ષનો પ્રતિબંધ મૂકી દેવાયો હતો.
રિદ્ધિમાન સાહાએ લગાવ્યો હતો આ આરોપ
બે મહિના પહેલા રિદ્ધિમાન સાહાએ ટ્વિટ કરીને એવો આરોપ લગાવ્યો હતો કે તેમને એક પત્રકારે ધમકી આપી છે.સાહાએ શેર કરેલા મેસેજમાં મજુમદારે ધમકીભર્યા સ્વરમાં કહ્યું હતું કે, "તમે (સાહા) ફોન કર્યો નથી. હું ક્યારેય તમારો ઇન્ટરવ્યૂ નહીં લઉં. હું અપમાન સહેલાઈથી લેતો નથી અને તેને યાદ રાખીશ.
બોરિયા મજમુદારે પોતાની સામેના આરોપ ફગાવ્યા હતા
જોકે બોરિયા મજમુદારે તેમની સામેના આરોપને ફગાવ્યા હતા. તેમણે એક વીડિયોમાં કહ્યું હતું, "સ્ક્રીનશોટ સાથે છેડછાડ કરવામાં આવી છે. તે સંપૂર્ણપણે સાચો નથી. સાહાના ઇન્ટરવ્યૂનું અગાઉથી આયોજન કરવામાં આવ્યું હતું, તેણે ઇન્ટરનેટ પર ઝૂમ લિંક મોકલવાનું કહ્યું હતું. પરંતુ સમય આપ્યા બાદ પણ તે ઉપલબ્ધ નહોતો." રિદ્ધિમાન સાહાને આ વર્ષે શ્રીલંકા સામે ઘરેલુ ટેસ્ટ સિરીઝ માટે પસંદ કરવામાં આવેલી ભારતીય ટીમમાંથી બહાર કરવામાં આવ્યો હતો. સાહા પણ બોર્ડના પ્રમુખ સૌરવ ગાંગુલી અને હેડ કોચ રાહુલ દ્રવિડ પર ગુસ્સે થયા હતા.